Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માના રાજીનામાનો મામલો વધુ ગરમાયોઃ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર સમર્થકો મુંડન કરાવીને વિરોધ કરશે

અમદાવાદ : શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માના રાજીનામાંનો મામલો વધુ ગરમાયો છે. દિનેશ શર્માએ વિવાદો વચ્ચે રાજીનામું આપી દીધું હોવાને કારણે દિનેશ શર્માના સમર્થકો શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર દિનેશ શર્માના સમર્થકો મુંડન કરાવીને વિરોધ કરશે. જો કે આ ઘટનાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે દિનેશ શર્માએ રાજીનામું આપ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર દિનેશ શર્માના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બે ધારાસભ્યોના વિરોધના પગલે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે તેમણે રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે, મેં પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યુ છે અને હું કોંગ્રેસનો સૈનિક તો છું. ઉલ્લેખનીય છે કે પહેલા પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા પત્ર લખી AMCના વિપક્ષના નેતા દિનેશ શર્માના રાજીનામાની માંગ કરાઇ હતી અને અંતે તેમણે પોતાના પદ પરથી સોમવારના રોજ રાજીનામું આપી દીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારથી દિનેશ શર્માને AMCના વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતાં ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો હતો. બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને દિનેશ શર્મા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે અને હિંમતસિંહનો સાથ કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ આપ્યો હતો.

જ્યારે આ મામલે અગાઉ કોંગ્રેસના સાત ધારાસભ્યોએ રાજીવ સાતવને એક પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે AMCના વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવા ન જોઇએ. તેના પાછળનું કારણ આપતા તેમણે જણાવ્યું હતુ કે જો આ સમય દરમિયાન તેમને બદલવામાં આવશે તો કોંગ્રેસને ભારે નુક્સાન થઇ શકે છે. અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્યોએ દિનેશ શર્માના રાજીનામાની માંગ કરી હતી. પરંતુ આ દરમિયાન પાર્ટીએ તેમની માંગને ફગાવતા પેટાચૂંટણીની તૈયારી માટે જણાવ્યું હતું. નોંધનીય છે કે કોંગ્રેસના દિવંગત નેતા બદરૂદ્દીન શેખનો કાર્યકાળ ખતમ થયા બાદ દિનેશ શર્માને આ જવાબદારી આપવામાં આવી હતી.

(4:34 pm IST)