Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

૨ મહિના પહેલા ભોપાલથી નીકળેલ બસ અમદાવાદમાં સૌર ઊર્જાથી ચાલે છે બસ

ભોપાલથી નીકળેલી એનર્જી સ્વરાજ બસયાત્રા ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી પહોંચી

 (કેતનખત્રી) અમદાવાદઃ સૌરઉર્જાના વપરાશ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આગામી ૧૦ વર્ષ એટલે નવેમ્બર ૨૦૩૦ સુધી IIT બોમ્બેના પ્રોફેસર ચેતનસિંહ સોલંકી દ્વારા દેશભરના જુદા જુદા જિલ્લાઓમાં પ્રવાસ પણ કરાઈ રહ્યો છે. બે મહિના અગાઉ ભોપાલથી નીકળેલી એનર્જી સ્વરાજ બસયાત્રા ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી, અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. ૪૦ લાખ રૂપિયાના ખર્ચે સોલાર પેનલ સાથે આ વિશેષ બસ તૈયાર કરાઈ છે. 

બસમાં છે આ સુવિધા

 આ બસને ચાલતું ફરતું ઘર પણ કહી શકાય કારણ કે, આ બસમાં ૧ BHK ની ડિઝાઇનમાં જીવન જરૂરિયાતની તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, બસમાં મુકાયેલા તમામ ઉપકરણો સૌરઉર્જાથી ચાલે છે. લોકો આ બસને નિહાળે, પોતાના ઘરોમાં પણ સૌર પેનલ લગાવે જેથી ઈલેકિટ્રસિટીનો વપરાશ ઘટતાં વાતાવરણમાં પ્રદુષણ અટકાવી શકાય તેવો સંદેશો આપવામાં આવી રહ્યો છે.

 આ બસમાં સૌરઊર્જાથી સુખ સુવિધાઓ ઉભી કરાઈ છે એની વાત કરીએ તો બસમાં પ્રવેશતાની સાથે જ પ્રથમ બેઠકરૂમ જોવા મળે છે. જેમાં ટેબલ - ખુરશી, બેસવા માટે સોફા અને ઊંદ્યવા માટે બેડની વ્યવસ્થા છે, તો સાથે જ CCTV કેમેરાના માધ્યમથી ઓબ્ઝર્વ કરી શકાય તેવી સ્ક્રીન પણ છે, આજ રૂમમાં બુકસ મુકવાની રેક તેમજ નાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે.

 આ સાથે જ એક નાનકડું રસોડું પણ તૈયાર કરાયું છે, જેમાં જરૂરી તમામ સાધનો મૂકી શકાય તેવું કબાટ પણ તૈયાર કરાયું છે. આ સિવાય ટોયલેટ પણ બસમાં જ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ એક વધુ રૂમ તૈયાર કરાયો છે જેમાં ૪ થી ૫ લોકો બેસી, સુઈ શકાય તેમજ મિટિંગ કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ રૂમમાં કમ્પ્યુટર, ટીવી, એસી, મોબાઈલ તેમજ અન્ય ઉપકરણોને ચાર્જ કરવા પોર્ટ, પંખા, ટ્યુબલાઈટ, ટીવી કમ્પ્યુટર પંખા તેમજ ખુરશીઓ મુકવામાં આવી છે.

 આ તમામ ઘર વપરાશની ચીજવસ્તુઓ જેમાં ઇલેકિટ્રસિટીની જરૂર પડે છે તે તમામ ઇલેકટ્રોનિક ઉપકરણો સૌર ઉર્જાના માધ્યમથી દિવસ રાત ચાલી શકે તેવી વ્યવસ્થા બસની ઉપર લગાવવામાં આવેલા સોલાર પેનલમાંથી ઉભી કરાઈ છે. જેના માટે બસની ઉપર ૮ સૌર પેનલ લગાડવામાં આવી છે. હાલ સમગ્ર વિશ્વ કલાઈમેટ ચેન્જ સામે ઝઝૂમી રહ્યું છે. એવામાં દેશભરમાં ઈલેકિટ્રસિટીના બહોળા વપરાશને કારણે પેદા થઈ રહેલા કાર્બન ડાયોકસાઇડથી પૃથ્વી પર ફેલાઈ રહેલા પ્રદુષણથી સર્જાઈ રહેલી ગંભીર પરિસ્થિતિઓ વધુ ચિંતાજનક બને એ પહેલાં દેશવાસીઓ ઇલેકટ્રીસિટીનો વપરાશ છોડી સૌરઉર્જાના વપરાશ તરફ આગળ વધવું જોઇએ. 

 આ માટેના પ્રયાસ એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના માધ્યમથી બોમ્બે IIT ના પ્રોફેસર ચેતનસિંહ સોલંકી દ્વારા કરાઈ રહ્યા છે. આ પ્રશંસનીય કામગીરી બદલ થોડા સમય પહેલા IIT બોમ્બેના પ્રોફેસર ચેતનસિંહ સોલંકીને મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા સૌર ઉર્જાનો બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે.

(2:58 pm IST)