Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે 8 નજીક પુરપાટ ઝડપે જતી બાઈક સર્વિસ રોડ પર ઉભેલ પાણીના ટેન્કર સાથે ટકરાતા જીવલેણ અકસ્માત સર્જાયો

હિંમતનગર : હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે  ૮ પર સાબરદાણ ફેકટરી નજીકથી શુક્રવારની મધરાતે પુરઝડપે બાઈક લઈ નિકળેલા યુવકનું બાઈક સર્વિસ રોડ પર ઉભા રહેલા પાણીના ટેન્કર સાથે ટકરાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં બાઈક ચાલક તેમજ પાછળ બેઠેલા બે યુવકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત થયા હતા.

 આ બનાવની જાણ હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટેશનમાં થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક બન્ને યુવકોની લાશને હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રામલાલ કાળુભાઈ કટારા (રહે. માથુગામડા પાલતા.જી.ડુંગરપુર-રાજસ્થાન) બાઈક પર કશરૂભાઈ નારાયણભાઈ મનાત (રહે. પાદરડી અહાડાતા.જી. ડુંગરપુર-રાજસ્થાન)ને પાછળ બેસાડી અમદાવાદ તરફથી રાજસ્થાન જવા મોડી રાત્રે નીકળ્યા હતા. રાત્રીના ૧ થી ૧.૩૦ વાગ્યાના સુમારે પુરઝડપે જઈ રહેલા બાઈક ચાલકે સાબરદાણ ફેકટરી નજીકના સર્વિસ રોડ પર ઉભા રાખેલા પાણીના ટેન્કર સાથે બાઈક ટકરાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં રામલાલ કાળુભાઈ કટારા (ઉ.વ. ૨૧)અને કશરૂભાઈ નારાયણભાઈ મનાત (ઉ.વ.૨૮) ને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બન્ને યુવકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત થયા છે.

(5:42 pm IST)