રાજકોટ,તા. ૧૯: રાજયમાં સહકાર અને સહકારીતાની ઉજજવળ પરંપરા અમૂલ જેવું ઊંઝા એ.પી.એમ.સીનું યોગદાન રહેલું છે જે ગુજરાત સહિત સમગ્ર ભારત ગૌરવ લઇ શકાય તેવી સંસ્થા છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ ઊંઝા ખાતેના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી ખેડૂતોને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ઊંઝા બજાર સમિતિ સૌથી જુની ૧૯૫૪થી ખેડૂતોના હિતો માટે કાર્યરત છે.તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારીતા પદ્ઘતિ થકી રાષ્ટ્રનો વિકાસ થાય તે દિશામાં પ્રેરણાદાયી પગલું ભરી સહકાર મંત્રાલયની શરૂઆત કરી છે.તેમણે ઉમેર્યું હતું કે રાજયમાં અમૂલ,ઊંઝા બજાર સમિતિ સહિત સહકારી સંસ્થાઓ દેશને સહકાર ક્ષેત્રે દિશા દર્શન કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સહકાર એ સરકાર,સહકાર અને નાગરિકોનો સમનવ્ય છે. ખેડૂતોના કલ્યાણ માટે સહકારીતા થકી સહકારી સંસ્થાઓ કાર્ય કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ઊંઝા બજાર સમિતિએ પાક સહાય ચેક આપી ખેડૂતોની સાચા અર્થમાં ચિંતા કરી છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા અકસ્માત વીમા યોજના,ટ્રી ગાર્ડ,કોવિડ માટે ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીન આપવાની થઇ રહેલી કામગીરીની પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રસંગે પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોની તેની ઉપજના યોગ્ય ભાવ મળી રહે તે માટે દેશના પ્રધાનમંત્રીશ્રીએ ખેડૂતોની આવક બમણી કરવાના અનેક વિધ પ્રયાસો-યોજનાઓ હાથ ધરી છે.સરકાર દ્વારા ખેડૂતોને કેન્દ્રમાં રાખીને વિવિધ યોજનાઓ અમલીમાં બનાવાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે ભુતકાળમાં ખેત ધિરાણના ૧૮ ટકા વ્યાજ ખેડૂતો પાસે વસૂલવામાં આવતું હતું આજે શૂન્ય ટકાએ રાજયના ૧૭ લાખ ખેડૂતનો ધિરાણ આપી વ્યાજની ચુંગાલમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય વર્તમાન સરકાર દ્વારા કરાયું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોનું હિત હૈયે લઇને અંદાજે ૧૭ હજાર કરોડ રૂપિયાની ટેકના ભાવથી ૩૮ લાખ ખેડૂતો પાસેથી અંદાજે ૩૨ લાખ ટન ખેત ઉત્પાદનોની ખરીદી કરાઇ છે.રાજય સરકારે ૧૯૯૫થી કૃષિ વીજબીલમાં એકપણ પૈસૌના વધારો કર્યો નથી જેનાથી ખેડૂત પરનું આર્થિક ભારણ ઓછું થયું છે અને ખેડૂત સમૃધ્ધ બન્યો છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતું કે ખેડૂતોના હિત માટે કમોસમી વરસાદમાં ૨૦૧૯માં રૂ.૩૭૯૫ કરોડ,૨૦૨૦માં રૂ. ૩૭૦૦ કરોડ અને તાઉતે વાવાઝોડામાં ત્રણ અસરગ્રસ્ત જિલ્લાઓના નાગરિકો માટે રૂ.૫૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે.તેમણે ઉમેર્યું હતું કે જગતનો તાત ખરા અર્થમાં તાત બની રહે તે માટે રાજય સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના,કિસાન સૂર્યોદય યોજના સહિત અનેક વિધ યોજનાઓ થકી ગુજરાતનો ખેડૂત વધુ સમૃધ્ધ થયો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતું કે કોરોનાની મહામારીમાં ગુજરાત સરકારે શ્રમજીવીઓની ચિંતા કરી વ્યપાર ધંધા ચાલુ રાખ્યા હતા.લોકડાઉન આપ્યા વિના આપણે બીજી વેવને કંટ્રોલ કરી શકયા છીએ તેમ જણાવી ત્રીજી વેવ માટે પણ સરકારે તૈયારીઓ પૂર્ણ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે બીજી વેવ પહેલા ૭૦ મેટ્રિક ટન ઓકિસજનનો વપરાશ થતો હતો પરંતુ બીજી વેવના પીક સમયે ઓકિસજનનો વપરાશ ૧૨૦૦ મેટ્રિક ટન થયો હોવા છતાં સરકારના ચોક્કસ આયોજનના પગલે ઓકિસજને અભાવને એક પણ નાગરિકનું અવસાન થયું નથી.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે રાજયમાં ૪૫ હજાર ઓકિસજન બેડ હતા જે વધારીને એક લાખ પથારી કરી છે. આઠ લાખ નાગરિકો કોરોનાથી મુકત થઇ સ્વસ્થ થયા છે.કોરોનામાં અનાથ થયેલ બાળકો સાથે સંવદેના રાખી માસિક રૂપિયા ૪ હજાર આપવાની પણ શરૂઆત કરાઇ છે.
ચેક સહાય કાર્યક્રમ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ યોજાયો હતો. જેમાં ૩૩ ગામના ૨,૨૮૯ લાભાર્થીઓને રૂ.૮૬.૯૭ લાખની સહાય આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ઊંઝા એ.પી.એમ.સી એ અન્ય માટે માર્ગદર્શન રૂપ છે. આ બજાર સમિતિની કામગીરી ઉદાહરણરૂપ છે., તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો માટે અને ખેડૂતોની ઉન્નતિ થાય તે માટે ઊંઝા બજાર સમિતિનું આ કાર્ય આવકારદાયક છે.
ઊંઝા તાલુકામાં ખેડૂતો જીરૂ અને ઇસબગુલ પાકોનું વધુ વાવેતર કરવા પ્રેરાય તે માટે એ.પી.એમ.સી ઊંઝા દ્વારા ૦૧ એકરની મર્યાદામાં રૂપિયા ૪૮૦૦ની સહાય યોજના અમલમાં મુકી છે.
આ ઉપરાંત વૃક્ષોની વાવેતર થાય તે દિશામાં એ.પી.એમ.સી દ્વારા વિવિધ સંસ્થાઓને તાલુકામાં ૧,૦૦૦ ટ્રી ગાર્ડ આપાવનો નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે પ્રતિક સ્વરૂપે સંસ્થાને ટ્રી ગાર્ડ એનાયત કરાયું હતું.
સહકારી સંસ્થા બજાર સમિતિ ઊંઝા દ્વારા સામાજિક સંવેદનના ભાગ રૂપે આગામી સમયમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગ રૂપે ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીન સેવાભાવી સંસ્થાઓને આપવામાં આવ્યા હતા.
ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ઊંઝા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. આશાબેન પટેલ,જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ, સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી,અગ્રણી જશુભાઇ પટેલ,કે.સી પટેલ, કૌશલ્યા કુંવરબા પરમાર,એ.પી.એમ.સી ચેરમેન દિનેશભાઇ પટેલ સહિત લાભાર્થી ખેડૂતો તેમજ એ.પી.એમ.સીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.