Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

4 વર્ષીય બાળકીના કેન્સરગ્રસ્ત જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કરી પુન:સ્થાપિત કરાયુ: દેશમાં પ્રથમવખત સર્જરી

9 કલાકની જટીલ સર્જરી બાદ પીડામુક્ત થઇ ઝેનાબે રાહત અનુભવી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI)ના તબીબોની સિદ્ધિ

ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI)ના તબીબોએ 4 વર્ષના કેન્સર પીડિત બાળકીના જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવ્યું હોય તેવો દેશમાં આ પ્રથમ કિસ્સો હોવાનો જી.સી.આર.આઇ.ના તબીબોએ દાવો કર્યો છે. દેશ અને વિશ્વમાં દુર્લભ ગણી શકાય તેવી 4 વર્ષના કેન્સરગ્રસ્ત બાળકીનું જડબું પગના હાડકામાંથી બનાવીને તબીબોએ સફળતાપૂર્વક તેની પ્લાસ્ટીક સર્જરી કરી છે.

જૂનાગઢમાં રહેતા ઝેનાબને જડબાના ભાગમા સાર્કોમાં ગાંઠ જોવા મળી હતી. સાર્કોમાં એક પ્રકારની દુર્લભ ગાંઠ છે. તેમાં પણ 4 વર્ષની બાળકીમાં જોવા મળી હતી. બાળવયે આવી ગંભીર ગાંઠ જણાઇ આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા ત્યાંના તબીબો પણ આ પ્રકારની ગાંઠ જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. તબીબોએ ઝેનાબના પરિવારજનોને આવા ગંભીર પ્રકારની સર્જરી ફક્ત અમદાવાદની સિવિલ મેડિસિટીની જી.સી.આર.આઇ. ઇન્સ્ટીટ્યુટમાં જ શક્ય હોવાનું જણાવી જી.સી.આર.આઇ. મોકલ્યા હતા.

માઇક્રોવેસ્ક્યુલર સર્જરીને કોઠાસુઝ અને પોતાના અનુભવથી સફળતાપૂર્વક પાર પાડનારા પ્લાસ્ટિક સર્જન ડૉ. હેમંત સરૈયા કહે છે કે, ઝેનાબના કિસ્સામાં કેન્સરગ્રસ્ત જડબાનો ભાગ કાઢવામાં ન આવે તો મોઢાના અન્ય ભાગમાં કેન્સર ફેલાવાની શક્યતાઓ પ્રબળ હતી. જે બાળકીના જીવને જોખમ ઉભુ કરે તેમ હતુ. આ પરિસ્થિતિઓ વચ્ચે વધુ પડકારજનક હતુ કાઢેલા જડબાને પુન:સ્થાપિત કરવું.

કેન્સરગ્રસ્ત જડબું કાઢીને ફરી વખત બનાવવામાં ન આવે તો બાળકીનો ચહેરો બેડોળ બનવાની સંભાવના પણ રહેલી હતી. આ સર્જરીમાં તેના દાંત સામ-સામે ન બેસે તો સમગ્ર જીવનકાળ દરમિયાન પ્રવાહી ખોરાક પર રહેવાની ફરજ પડે તેમ હતું. આ તમામ પરિણામો બાળકીના શારીરીક અને માનસિક વિકાસ પર પણ અસર પહોંચાડે. બાળકીનું જડબું બનાવવામાં પણ ઘણી મુશકેલીઓ હતી. કારણ કે, બાળકના પગનું હાડકુ ઘણું નાનું અને પાતળું હોય છે. જેથી તેને આરીથી કાપીને જડબાના સ્વરૂપમાં રૂપાતંરિત કરવું પડે છે.

આ દરમિયાન 1 મી.મી. જેટલી પણ ખામી સર્જાય તો બાળકીના બંને જડબા બરાબર બેસી શકે નહીં. વળી આરીથી હાડકુ કાપતી વખતે જડબાની નીચેના ભાગમાં રહેલી લોહીની નળી ભૂલથી કપાઇ જાય તો આખું હાડકુ નકામું બની શકે. જેથી નવઆકાર લઇ રહેલા હાડકામાં અતિ મોંધી ટાઇટેનીયમની ત્રણ-ચાર પ્લેટો અને 12 થી 16 જેટલા સ્ક્રુ નાંખી તેને જોડવાની જરૂરિયાત ઉભી થઇ.

આ સમગ્ર સર્જરીનો સૌથી જોખમી હિસ્સો આ હાડકાની વાળ જેટલી ત્રણ લોહીની નળીઓને ગળા અને મગજની નળીઓ સાથે જોડીને તેમાં લોહીનું પરિભ્રમણ પૂર્વવત કરવાનો હતો. જો કરવામાં ન આવે અને કોઇપણ નળી બ્લોક થઇ જાય અને નવનિર્મિત હાડકુ સળી જવાની પ્રબળતા રહેલી હતી. આ તમામ પરિસ્થિતિ સાથે જી.સી.આર.આઇ.ના પ્લાસ્ટીક સર્જન ડૉ. હેમંત સરૈયા, ડૉ.પ્રિતમ અને કેન્સર સર્જન ડૉ. ઉમાંક ત્રિપાઠી અને ટીમે આ પડકારજનક ઓપરેશનને સળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઝડપ્યું હતું.

તેઓએ સૌ પ્રથમ ગળામાં કાણું પાડીને બાળકીને શ્વાસ માટેની હંગામી વ્યવ્સથા ગોઠવી અને કેન્સરગ્રસ્ત જડબું કાઢી નાંખવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકીના ડાબા પગનું હાડકું, લોહીની નળીઓ ચામડી સાથે લેવામાં આવી હતી. કાપેલા નવા હાડકાને જડબાના માપ મુજબ આકાર આપવામાં આવ્યો. ત્યારબાદ તેને સપોર્ટ અને મજબૂતાઇ માટે ટાઇટેનીયમની પ્લેટ્સ અને સ્ક્રુ સાથે બેસાડવામાં આવ્યા હતા

ત્યારબાદ આ ફ્લેપની ત્રણ લોહીની નળીઓને કે જે વાળ જેટલી પાતળી હતી તેને ગળાની અને મગજનાં ભાગમાંથી રક્તવહન કરતી નળીઓ સાથે માઇક્રોસ્કોપની મદદથી ગળાના ભાગને 8 થી 10 ગણું મોટું કરી જોડવામાં આવી. આમ લોહીનું પરિભ્રમણ પુન:કાર્યરત થયું હતું. ઓપરેશન બાદ આ નળીઓ સંકોચાઇ ન જાય અને લોહીનો ગઠ્ઠો આવી જવાથી બ્લોક ન થઇ જાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

9 કલાકની અતિજટીલ સર્જરીના અંતે ઝેનાબની પીડાનો સુખદ અંત આવ્યો હતો. હવે તે પીડામુક્ત થઇ નિરાંતની નીંદર લઇ રહી છે. આગામી સમયમાં ઝેનાબની ફીઝીયોથેરાપી કસરતની શરૂઆત કરવામાં આવશે અને થોડા સમયબાદ નવા દાંત પણ નાંખવામા આવશે.

આ સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પડ્યા બાદ અને પોતાના દીકરીને પીડામૂક્ત જોઇ પરિવારજનો ભાવવિભોર થયા હતા. તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ રાજ્ય સરકાર અને જી.સી.આર.આઇ.ના તબીબોનો 8 થી 10 લાખ જેટલી ખર્ચાળ અને અતિજટીલ સર્જરી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા અને અતિજોખમી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવા બદલ લાગણીસભર આભાર માન્યો હતો.

G.C.R.I. ના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું છે કે, કેન્સરગ્રસ્ત નાગરિકો માટે રાજ્ય સરકારના સહયોગથી અમારી ઇન્સ્ટીટ્યુટમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલ્ધ કરાવવામાં આવી છે. દર્દીઓને વિનામૂલ્યે અથવા તો નજીવા ખર્ચે કેન્સરની તમામ ખર્ચાળ સારવાર ઉપલબ્ધ થઇ રહી છે. દેશની અન્ય કેન્સર હોસ્પિટલમાં ન હોય તેવી અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીની મદદથી કેન્સરગ્રસ્ત દર્દીઓના નિદાન સારવાર માટે જી.સી.આર.આઇ. કટિબધ્ધ છે.

(12:13 am IST)