Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગુજરાતમાં ચોમાસાની પાછળની સિઝનમાં થયેલા વરસાદથી ખેડૂતોને મોટી રાહતઃ 19,09,855 હેક્‍ટરમાં મગફળીનું વાવેતર થતા 34.44 લાખ ટન મગફળીનું ઉત્‍પાદન થશેઃ સિંગતેલના ભાવમાં ઘટાડો થશે

ગુજરાત સ્‍ટેટ એડીબલ ઓઇલ એન્‍ડ સીડસ એસોસિએશન દ્વારા મગફળીના ઉત્‍પાદનના આંકડા જાહેર

રાજકોટઃ રાજ્યમાં ચોમાસાની પાછળની સીઝનમાં થયેલા વરસાદને કારણે ખેડૂતોને મોટી રાહત મળી છે. છેલ્લા દિવસોમાં થયેલા સારા વરસાદને કારણે પાકને નવજીવન મળ્યું છે. આ વર્ષે રાજ્યમાં મગફળીના પાકનું મોટું ઉત્પાદન થવાની આશા છે. મહત્વનું છે કે મગફળીનું સારૂ ઉત્પાદન થવાને કારણે સિંગતેલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં આ વર્ષે મગફળીના થનારા ઉત્પાદનના આંકડા સામે આવ્યા છે.

આટલા ટન મગફળીનું થશે ઉત્પાદન

રાજ્યમાં આ વર્ષે પ્રથમવાર મગફળીના ઉત્પાદનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ચાલું વર્ષે 33.4 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 5 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. તો સૌછી ઓછું ઉત્પાદન બોટાદ જિલ્લામાં થશે. બોટાદ જિલ્લામાં 32 હજાર ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આ વર્ષે 19,09,855 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ્સ એન્ડ સીડ્સ એસોસિએશન દ્વારા મગફળીના ઉત્પાદનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 

લોકોને મળશે રાહત

ગુજરાતની જનતા છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય તેલના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી પરેશાન છે. સિંગલેતના એક ડબ્બાના ભાવ 3 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા હતા. તો કપાસિયાના તેલમાં પણ મોટો ભાવ વધારો જોવા મળ્યો હતો. હવે રાજ્યમાં મગફળીના સારા ઉત્પાદનને કારણે આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

(5:20 pm IST)