Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મારુ પેજ કોરોના મુક્ત મુહિમની શરૂઆત કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તમામ ધારાસભ્ય,સાંસદોને 100 બેડ ના આઇસોલેશન કોવિડ કેર સેન્ટર નિર્માણ કરવા આહવાન

ગાંધીનગર: ભાજપે ચુંટણીની માફક જ છેક છેવાડાના માનવી સુધી પહોંચવા માટે પેજ પ્રમુખો તથા સમિતિની રચના કરીને ચુંટણી જંગ જીતી લીધો હતો. હવે કોરોનામાં પેજ સમિતિના સભ્યોની કાળજી રાખવા માટે ભાજપના પદાધિકારીઓને જવાબદારી સોંપી છે. આજે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ” મારું પેજ કોરોના મુક્ત” વિચાર ઉપર ભાર મૂક્યો હતો તેમજ ધારાસભ્યો, જિલ્લા મહાનગરના પદાધિકારીઓને ચૂંટાયેલી પાંખની જવાબદારી છે કે પોતાના વિસ્તારના પેજ સમિતિના સભ્યો અને એમના પરિવારની કાળજી લેવી સાથે સાથે એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને કોવિડ કેર સેન્ટર વધુમાં વધુ શરૂ કરવા અપીલ કરી હતી.

 ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ પદાધિકારી, સેલ મોરચાના પ્રમુખો ,કારોબારી સભ્યો , જિલ્લા મહાનગરના પ્રમુખ, મહામંત્રીઓ તથા જિલ્લા પંચાયતના પ્રમુખો ,સંસદસભ્યો, ધારાસભ્યો અને આઠ મહાનગરપાલિકાના મુખ્ય પદાધિકારીઓ, સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તેમણે ગુજરાતભરમાં પેજ બુથ લેવલે કામગીરી કરવા હાકલ કરી હતી. તેની સાથોસાથ કોરોનાકાળમાં લોકોને મદદરૂપ થવા જણાવ્યું હતું.તેમણે વધુમાં જિલ્લાઓમાં સિવિલ હોસ્પિટલ કે PHC સેન્ટર પર હેલ્પ ડેસ્ક બનાવવાની સાથોસાથ સરકારની કામગીરીમાં મદદરૂપ થવાય તે માટેના તમામ પ્રયત્નો કરવા તેમ જ તમામ ધારાસભ્ય, સાંસદોને 100 બેડ ના આઇસોલેશન કોવિડ કેર સેન્ટર નિર્માણ કરવા જણાવ્યું હતું.

 ત્યારે તેમણે ધારાસભ્ય હર્ષ સંઘવી, જયેશ રાદડિયા, સહિતના ધારાસભ્યોની કામગીરી બિરદાવી હતી. તેમણે કહ્યું કે, આઇસોલેશન વોર્ડમાં નાની નાની બાબતો પર ધ્યાન રાખો અને સામાજિક સ્તરે લોકોને જોડી વ્યવસ્થા ઉભી કરો તથા ઘરે એકલા કોરોન્ટાઇન લોકો માટે ભોજન વ્યવસ્થા કરો તથા પ્રદેશ કક્ષાએ હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી.

 ગુજરાતમાંમાં બેડ, ઓક્સિજન પુરતા પ્રમાણમાં છે. વેન્ટિલેટરની વ્યવસ્થા પણ થઈ રહી છે. બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પ કરવા ઉપર ભાર મૂક્યો હતો. કોરોનાકાળમાં ભાજપના ધારાસભ્ય, સાંસદો, કાઉન્સિલરો અને ભાજપના નેતા કાર્યકર્તા પ્લાનિંગ સાથે કામ કરવા તેમણે વધુમાં જણાવ્યું હતું.

 ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના કોમ્યુનિટી હોલનો ઉપયોગ કરવા માટે ભલામણ કરવામાં આવશે તેમ જણાવતાં સી.આર. પાટીલે ઉમેર્યું હતું કે, પેજ કમિટી મુજબ ઉમર પ્રમાણે વેકસીનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે. અને મારૂ પેજ કોરોનામુક્ત મુહિમ હાથ ધરવામાં આવશે.

 ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે કેટલા વેન્ટિલેટર અને ઓક્સિજન ફ્રી છે તેની માહિતી દર કલાકે મળે તેવી વ્યવસ્થા સંગઠન ઉભી કરી અને પ્રજાને કરીને સરકારની કામગીરીમાં મદદરૂપ થવા આહવાન કર્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા સારી કામગીરી કરાઈ છે..અન્ય સ્થળે આઇસોલેશન સ્થળે પણ ભાજપના ડોક્ટરોની મદદ લેવામાં આવે. અને રિટાયર્ડ ડોક્ટરોની મદદ લેવામાં આવે. આ વાત ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો.

(10:36 pm IST)