Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સોલા ભાગવત ખાતે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન

શ્રી ભાગવત્ ઋષિના શ્રીમુખે કથા પારાયણનો પ્રારંભઃ કથાના પ્રથમ દિવસે ભાગવત્ની પોથીયાત્રા નીકાળવામાં આવી : ૨૨મી જાન્યુઆરીએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

અમદાવાદ,તા. ૧૮, શહેરના સોલા ભાગવત ખાતે આજથી તા.૨૪મી જાન્યુઆરી સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સોલા ભાગવતના પ્રખર કથાકાર શ્રી ભાગવત્ ઋષિના શ્રીમુખે આજથી ભાગવત કથા પારાયણનો પ્રારંભ થયો હતો. કથાના પ્રથમ દિવસે આજે ભાવગત્ની પોથીયાત્રા નીકાળવામાં આવી હતી, જે શોભાયાત્રામાં સંખ્યાબંધ શ્રધ્ધાળુ ભકતો જોડાયા હતા. પૂ.ગં.સ્વ. નિર્મળાબહેન કાંતિલાલ પારેખના દિવ્ય સંકલ્પથી જીવણદાસ પારેખ પરિવાર તથા સ્વ.કાંતિલાલ જીવણદાસ પારેખ અન્ય સદ્ગત વડીલોના આત્મશ્રેયાર્થે આ શ્રીમદ્ ભાગવત્ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ ભાગવત કથાના પ્રથમ દિવસે શ્રી ભાગવત ઋષિએ જણાવ્યું હતું કે, શ્રીમદ્ ભાગવત એ વૈશ્વિક ચૈતન્યતા, આધ્યાત્મિકતા, આધિદૈવિક, આધિભૌતિક અને પરમ કલ્યાણની પ્રાપ્તિનો ગ્રંથ છે. જે જીવને સ્વયંમાં વિશ્વનું અનુભૂતન કરાવી કારૃણ્યભાવ પ્રગટાવે છે. જે વાડાબંધીથી ઉપર ઉઠાવી સંસારના બધા જ પ્રશ્નોને તલસ્પર્શી ઉંડાણભરી સંવેદનશીલ સમજ આપી સમાધાન પ્રાપ્ત કરાવે છે. જે શ્રવણ કરનારને વૃક્ષ જેવા સમર્પિત સાધુ અને વૈષ્ણવ બનાવે છે. વૃક્ષો એ પરમ વૈષ્ણવનું સ્વરૃપ છે, જે પોતાના બારે-બાર અંગો સાથે વિશ્વને સમર્પિત રહી સેવા કરે છે. જીવમાત્રમાં વૃક્ષ પરોપકારના પ્રતિક સ્વરૃપ શ્રેષ્ઠ વૈષ્ણવ સેવક તરીકેનું બિરૃદ ધરાવે છે. આઇ એટલે ઇગો અને કેપીટલ આઇ એટલે પરમ પરમેશ્વર શ્રીકૃષ્ણના પુષ્ટિપુરાણ પુરૃષોત્તમ શ્રીકૃષ્ણના સ્વરૃપમાં પરિવર્તિત કરાવનાર એકમાત્ર સાધન શ્રીમદ્ ભાગવત છે. સર્વ ભેદ-ભ્ર્મથી તથા ભયથી ઉઠાવીને જીવને શાંતમાં સ્થાપનારું મુખ્ય સ્ત્રોત છે. શ્રીમદ્ ભાગવતનો આશ્રય એ વિશ્વના બધા જ સળગતા પ્રશ્નોનું એકમાત્ર સમાધાન છે એમ શ્રી ભાગવત્ ઋષિએ ઉમેર્યું હતું. કથાના મુખ્ય યજમાન દિપકભાઇ પારેખ અમેરિકાથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(9:59 pm IST)