Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ગાંધીનગરમાં સાબરમતી બે કાંઠે: રાત્રે 9 વાગ્યે સંત સરોવરના ૧૦ દરવાજા ખોલીને ૩૧,૮૨૯ ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું છે

સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવનાને પગલે ૧૦ ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના

ગાંધીનગર : ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે આજે રાત્રે ૯.૦૦ વાગે ૭,૦૭૫ ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે. સંત સરોવરના ૧૦ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલીને ૩૧,૮૨૯ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં અને મુખ્યત્વે સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે સંત સરોવર અને હેઠવાસના વિસ્તારોમાં ૧૦ ગામના લોકોને સાવચેતીના પગલાં તરીકે નદી કિનારે નહીં જવાની સૂચના ગાંધીનગર મામલતદાર તરફથી આપવામાં આવી છે.
આજે રાત્રે ૯.૦૦ વાગે ધરોઈ બંધમાંથી ૬૬,૦૫૦ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહયું છે. ત્યાર પછી લાકરોડા બેરેજમાંથી ૭,૦૭૫ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહયું છે.
સંત સરોવરનું ફૂલ રિઝર્વૉયર લેવલ ૫૫.૫૦ મીટર છે અત્યારે પાણીની આવક વધતા સંત સરોવરના ૨૧ દરવાજામાંથી ૧૦ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને ૩૧,૮૨૯ ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે.
ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના ૧૦ ગામો; ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.

(9:48 pm IST)