Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

રાંધણ છઠના દિવસે ગૃહિણીઓએ વિવિધ વાનગીઓ બનાવી : ગુરૂવારે શીતળા સાતમ, મહિલાઓ શિતળા માતાજીની પુજા કરી ઠંડુ ભોજન આરોગશે

વિરગમામ, માંડલ, સાણંદ સહિત અમદાવાદ જીલ્લાના વિવિધ મંદિરોમાં બહેનો શિતળા માતાજીને દિવો પ્રગટાવી, શ્રીફળ, કુલેરની પ્રસાદી ધરાવી પૂજન અર્ચન કરશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : શ્રાવણ વદ છઠ રાંધણ છઠના દિવસે વિરમગામ, માંડલ, દેત્રોજ-રામપુરા, સાણંદ, બાવળા તાલુકામાં મહિલાઓ દ્વારા અવનવા વ્યંજનો બનાવવામાં આવ્યા અને શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડુ ભોજન આરોગવામા આવશે. રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની ગઇ અને નવી-નવી વાનગીઓ બનાવવામાં આવી હતી. મહિલાઓ દ્વારા પસંદગી મુજબ થેપલા, બાજરાના વડા, પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, ખીર અને મિષ્ઠાન સહિતની વાનગીઓ બનાવવામાં આવી હતી. આધુનીક સમયમાં પાણીપુરી, ભેળપુરી, વેજ સેંડવીજ, ફ્રૂટ સલાડ જેવી વાનગીઓ પણ બનાવવામાં આવી હતી.
જપ, તપ અને વ્રતનો મહિનો એટલે શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનામાં એક પછી એક વ્રત અને તહેવારો આવતા રહે છે. ગુરૂવારે શ્રાવણ વદ સાતમના દિવસને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવશે. વિરમગામ, માંડલ, સાણંદ, બાવળા, દેત્રોજ-રામપુરા તાલુકા સહીત અમદાવાદ જીલ્લામાં સાતમનાં દિવસે મહિલાઓ શીતળા માતાજીને શિષ ઝુકાવી પોતાના નાના સંતાનોનાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી એક દિવસનાં એકટાણા, ઉપવાસ કરશે. શ્રાવણ મહિનામાં આવતી શીતળા સાતમનું વ્રત બહેનો તેમના સંતાનોના સુખાકારી માટે રહેતા હોય છે. લોકો આખો દિવસ ઠંડુ ભોજન આરોગશે. વિવિધ મંદિરોમાં બહેનો શિતળા માતાજીને દિવો પ્રગટાવી, શ્રીફળ, કુલેરની પ્રસાદી ધરાવી પૂજન અર્ચન કરશે. નોંધનિય છે કે, શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધનપૂજા અને કર્મપૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ માતાજી કરાવે છે. શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહીધોઈ પવિત્ર થઈ, માઁ જગદંબાની પૂજા કરી ટાઢું ખાય છે. દુઃખમાંથી મુક્તિ મેળવીને જીવનમાં શીતળતાની પ્રાપ્તિ કરવા માટે શ્રાવણ વદ સાતમના રોજ શીતળા માતાની પૂજા કરીને ભક્તો સુખી જીવનની મનોકામના કરે છે તેવી લોકોની શ્રધ્ધા છે.

(8:02 pm IST)