Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

નૈતિકતા મુલ્ય પધ્ધતિ વિષય પર સપ્ટેમ્બરમાં પરીક્ષા

યુવાઓમાં સંસ્કારના સિંચન માટે અનોખી પહેલ : પ્યોર યુનિવર્સ દ્વારા આ અનોખી પરીક્ષા યોજવામાં આવશે, કોઈપણ વ્યક્તિ આ પરીક્ષામાં ભાગ લઈ શકશે

અમદાવાદ, તા.૧૭ : ખોટું બોલવા સહિતન સામાન્ય અનિષ્ટોનો સામનો કરવા માટે પ્યોર યુનિવર્સ સ્વયં શિસ્ત, નૈતિકતા, હિંમત જેવા નૈતિક મૂલ્યો દ્વારા વિશ્વના દરેક વ્યક્તિમાં આત્મ સન્માન કેળવાય એ માટે ઈનર મોરલ વેલ્યુ સિસ્ટમ (આઈએમવીએસ) કાર્યક્રમ લઈને આવ્યું છે જેના અંતર્ગત બાળકો અને યુવાનોને વિવિધ પ્રકારના પ્રશ્નો પુછીને તેમનામાં સંસ્કારોનું સિંચન કરવા માટેના પ્રયાસ કરાશે. આના માટે સંસ્થા દ્વારા વિવિધ મુદ્દાઓને આવરી લઈને પ્રશ્નો તૈયાર કરાયા છે જેમાં ચાર વિકલ્પો પણ આપવામાં આવ્યા છે જેનો જવાબ આપીને પરીક્ષાર્થીનું સામાન્ય આંકલન કરી શકાશે. આ સંદર્ભે દેશભરમાં ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવશે.

આઈવીએમએસ પરીક્ષા અંતર્ગત ઉમેદવારને વિચાર ઉત્તેજક પ્રશ્નો પૂછવામાં આવશે જે વ્યક્તિને વ્યક્તિગત અને સામાજિક જીવનમાં તેમના પોતાના વર્તન વિષે વિચારવા મજબુર કરશે.  પ્યોર યુનિવર્સના સીએમડી તન્મય પૂરોહિતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર માસ દરમ્યાન આઈએમવીએસ  ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં પરીક્ષાનું આયોજન કરી રહ્યું છે. ત્યારબાદ દરેક રાજ્યોમાં અંગ્રેજી અને ત્યાંની પ્રાદેશિક  ભાષામાં પરીક્ષાનું આયોજન થશે અને ત્યારબાદ વિશ્વભરમાં આ પરીક્ષાનું આયોજન થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઈએમવીએસ દ્વારા ૧૧થી ૧૬ વર્ષના બાળકો માટે ૪૫ મિનિટની એન્ટ્રન્સ એકઝામ લેવામાં આવશે. જ્યારે ૧૭થી ૨૧ વર્ષના બાળકો માટે ૬૦ મિનિટની સ્ટાર્ન્ડડ પરિક્ષા લેવામાં આવશે. આ બંને ગ્રુપની પરિક્ષા ફી રૂ ૩૦૦ રાખવામાં આવી છે. જે બાળકો આ ફી ભરી શકે તેમ ના હોય તેઓને આઈએમવીએસની હેલ્પલાઈન ઉપર જણાવશે તો તેઓને ફ્રી પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા આઈએમવીએસ તરફથી કરી આપવામાં આવશે.

 ૨૨થી ઉપરની વયના લોકો માટે ૯૦ મિનિટની માસ્ટર પરીક્ષા લેવામાં આવશે. જેની ફી રૂ. ૫૦૦ રાખવામાં આવી છે. આ પરીક્ષાના પ્રમાણપત્ર ધારકને વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં અગ્રીમતા મળી શકે  તે માટે સંસ્થા પ્રયાસ કરી રહી છે જોકે, હજુ સુધી આ બાબતે કોઈ યુનિવર્સિટી તરફથી તેને માન્યતા મળી શકી નથી. આ તમામ પરિક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

(9:45 pm IST)