Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના : હવામાન વિભાગ

રાજ્યમાં ચાલુ વર્ષે તા. ૧૭ ઓગસ્ટ સુધીમાં અંદાજીત ૭૮.૮૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર : રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં ૩૧૧.૮૨ મી.મી. વરસાદ નોંધાયો: વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ

અમદાવાદ :સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.

રાહત કમિશનરએ જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૦૪ જિલ્લાના ૦૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં ૨૧મી.મી. વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૭/૦૮/૨૦૨૧ અંતિત ૩૧૧.૮૨ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૩૭.૧૨ ટકા છે.
IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે જો કે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૧૭ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૭૮.૮૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૭૮.૦૨ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૨.૧૫ ટકા વાવેતર થયેલ છે.
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૯૩૯ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૪૮% છે. રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૬૫,૪૭૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૬૩% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૭ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૧૦ જળાશય છે.
એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. અને ૬-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમ હવામાન વિભાગની આગાહી ધ્યાને લઇ એલર્ટ રાખવામાં આવેલ છે.
વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી. એસ. આર .ટી. સી. તથા ઇસરો, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ આ મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ

(8:28 pm IST)