Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

આણંદ તાલુકાના બોરીયાવી નજીક બપોરના સમયે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર પિતા-પુત્ર સહીત ત્રણ શખ્સોએ ઘટનાસ્થળેજ દમ તોડયા

આણંદ : નેશનલ હાઈવે નં.ઉપર આવેલ આણંદ તાલુકાના બોરીઆવી ગામ નજીક સ્વાતંત્ર્ય દિને બપોરના સુમારે એક ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ઉપર સવાર પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી  હતી. બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ટેન્કરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કણજરી તાબે લક્ષ્મીપુરા ખાતે રહેતા હરેશભાઈ ચંદુભાઈ પરમાર (ઉં.વ.૧૮) પિતરાઈ ભાઈ જયેશ રઈજીભાઈ પરમાર (ઉં.વ.૨૫) તથા તેઓના પાંચ વર્ષીય પુત્ર હર્ષને મોટરસાયકલ ઉપર બેસાડી આણંદ પાસેના સામરખા ગામે આવેલ ખોડિયાર માતાના મંદિરે દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ મોટરસાયકલ ઉપર સવાર થઈ કણજરી પરત જવા નીકળ્યા હતા. દરમ્યાન બપોરના બારેક વાગ્યાના સુમારે તેઓની મોટરસાયકલ બોરીઆવી ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલ એક ટેન્કરના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી હંકારી મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ઉપર સવાર ત્રણેય ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જેમાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચતા તેમના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યાં હતા. અકસ્માતમાં મોટરસાયકલ ટેન્કરના પાછળના વ્હીલમાં ફસાઈ ગયું હતું. અકસ્માત બાદ ટેન્કરનો ચાલક ટેન્કરને ઘટનાસ્થળે બિનવારસી હાલતમાં મુકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ આણંદ ગ્રામ્ય પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતીે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

(6:06 pm IST)