Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ગુજરાતમાં ૧૬ ઓગસ્‍ટ ૨૦૨૧ સુધીમાં માત્ર ૩૭ ટકા વરસાદ જ પડયોઃ મોટાભાગના ડેમ તળિયાઝાટક : ગુજરાત માટે ચિંતાજનક સ્‍થિતિ

ગુજરાતમાં ખેંચાયેલો વરસાદ માત્ર ખેડૂતો જ નહીં સામાન્‍ય લોકો માટે પણ ચિંતાનું કારણ બન્‍યો છે

નવી દિલ્‍હી,તા. ૧૭: છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં મેઘરાજાએ વિશ્રામ લીધો છે. સામાન્‍ય રીતે ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં કુલ સરેરાશ ૩૩ ઈંચ વરસાદ પડતો હોય છે. તેમાંથી આ વખતે ચોમાસાના વીતેલા અઢી મહિનામાં માત્ર ૧૨ ઈંચ વરસાદ પડ્‍યો છે એટલે કે રાજયના કુલ સરેરાશ વરસાદની સામે માંડ ૩૭ ટકા વરસાદ વરસ્‍યો છે. રાજયભરમાં સાર્વત્રિક વરસાદ ક્‍યારે થશે તેવી આગાહી હજી સુધી કરવામાં આવી નથી.

વિલંબિત અને અપૂરતા વરસાદના કારણે ગુજરાતના ડેમના પાણી પણ સૂકાવા લાગ્‍યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના કુલ ૨૦૬ ડેમમાં તેના પાણીની સંગ્રહશક્‍તિ સામે માંડ ૪૭ ટકા જેટલું પાણી ભરાયેલું છે અને તેમાં પણ પીવાના ઉપયોગમાં લઈ શકાય તેવુ જીવંત કક્ષાનું પાણી તો માત્ર ૩૭ ટકા જેટલું જ છે. ગુજરાત માટે હાલની આ સ્‍થિતિ ખૂબ ચિંતાજનક છે.

છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં આ વરસાદ અને ડેમોમાં ભરાયેલું પાણી ખૂબ જ ઓછું છે. અત્‍યારે ઓગસ્‍ટ મહિનો અડધો પસાર થઈ ચૂક્‍યો છે. હવે સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબર એમ બે મહીના વરસાદના બાતી છે ત્‍યારે આ સમયગાળામાં બાકીના ૬૩ ટકા વરસાદ પડે તો ગુજરાત માટે સારા દિવસોની અપેક્ષા રાખી શકાય.

૧૬ ઓગસ્‍ટ, ૨૦૧૭ સુધીમાં રાજયમાં કુલ સરેરાશ વરસાદની સામે ૮૪ ટકા જેટલો વરસાદ પડ્‍યો હતો, ૨૦૧૮માં આ જ તારીખ સુધીમાં ૫૬ ટકા, ૨૦૧૯માં ૮૬ ટકા વરસાદ ખાબક્‍યો હતો. જયારે ૧૬ ઓગસ્‍ટ ૨૦૨૦ સુધીમાં ૭૭ ટકા પડ્‍યો હતો. બીજી તરફ આ વર્ષે ૧૬ ઓગસ્‍ટ સુધીમાં માત્ર ૩૭ ટકા વરસાદ જ પડ્‍યો છે. જેનાથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો હોવાનું સાબિત થાય છે.

રાજયમાં માત્ર આઠ જ ડેમ ૫૦ ટકાથી ૧૦૦ ટકા ભરાયેલા છે, જયારે સાત ડેમોમાં ૩૦ થી ૪૯ ટકા પાણી છે. ૫૭ ડેમો આવે છે જેમાં ૧૦થી ૨૯ ટકા પાણી છે. ૩૬ ડેમો ૧૦ ટકા જેટલા ભરેલા છે. ૧૪ ડેમ એવા છે જેમાં એક ટીપું પણ પાણી નથી. અર્થાત્‌ રાજયના મોટાભાગના ડેમમાં પાણી ભરાયેલા નથી અથવા ખાલી છે.

(10:29 am IST)