Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

કુતુબ મિનાર પરિસરમાં 1200 વર્ષ જૂની મૂર્તિ મળી હોવાનો દાવો : પુરાતત્વવિદ ધરમવીર શર્માએ કરી મૂર્તિની ઓળખ

નરસિંહ ભગવાન અને ભક્ત પ્રહલાદની મૂર્તિ હોવાની શક્યતા : કુવાવત-ઉલ-ઈસ્લામ મસ્જિદના પિલર પર મૂર્તિની ઓળખ થઇ

 

નવી દિલ્હી : દિલ્હીનો કુતુબ મિનાર હાલમાં દેશભરમાં ચર્ચામાં છે, કારણ કે અહીં હિંદુ ધર્મ સાથે જોડાયેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ મળવાના સમાચાર મળી રહ્યા છે. હવે લેટેસ્ટ માહિતી મુજબ કુતુબ મિનાર સંકુલમાં આવેલી કુવાવત-ઉલ-ઈસ્લામ મસ્જિદના એક પિલર પર એક મૂર્તિ છે. વર્ષો સુધી તેની ઓળખ કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ હવે પુરાતત્વવિદ ધરમવીર શર્માએ આ મૂર્તિને નરસિંહ ભગવાન અને ભક્ત પ્રહલાદની મૂર્તિ તરીકે ઓળખી કાઢી છે

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)માં રિજનલ ડિરેક્ટર રહી ચૂકેલા ધરમવીર શર્માનો દાવો છે કે આ પ્રતિમા આઠમી-નવમી સદીમાં પ્રતિહાર રાજાઓના સમયગાળાની છે. વર્ષોથી તેની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, ઘણા પ્રયત્નો બાદ હવે પુરાતત્વવિદે આ પ્રતિમાની ઓળખ કરી લીધી છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રતિમા 1200 જૂની છે, તે પ્રતિહાર રાજાઓ અથવા રાજા અનંગપાલના સમયની છે. તેની ઓળખ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ના પૂર્વ રિજનલ ડાયરેક્ટર ધરમવીર શર્માએ કરી છે. તેમનો દાવો છે કે આ પ્રતિમા આઠમી કે નવમી સદીની છે. તે સમયે પ્રતિહાર રાજાઓ અને રાજા અનંગપાલ પ્રથમનો સમય હતો. મિહિર ભોજા પ્રતિહાર રાજાઓમાં સૌથી જાજરમાન રાજા રહ્યા છે. આ પ્રતિમાના ચિત્રો વિશેષ અભ્યાસ માટે દેશના પ્રાચીન પુરાતત્વવિદોને મોકલવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે ભગવાન નરસિંહની આ સૌથી દુર્લભ પ્રતિમા છે

સાથે જ જાણીતા પુરાતત્વવિદ્ શર્માનું કહેવું છે કે અત્યાર સુધી આપણે માત્ર ભગવાન નરસિંહની મૂર્તિ જોતા આવ્યા છીએ જેમાં હિરણ્યકશ્યપને પોતાના ઘૂંટણ પર રાખવામાં આવ્યા હોવાનું બતાવવામાં આવ્યું છે અને તેમને ભગવાન નરસિંહે પોતાના નખથી ફાડી નાખ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ આ મૂર્તિમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે ક્રોધિત નરસિમ્હાએ હિરણ્યકશ્યપની હત્યા કરી ત્યારે તેમના ગુસ્સાના કારણે ધરતી બળવા લાગી હતી. ત્યારબાદ દેવતાઓએ ભક્ત પ્રહલાદને પ્રાર્થના કરી કારણ કે તેઓ નરસિંહના પ્રિય હતા અને તે નરસિંહના ગુસ્સાને શાંત કરી શકે છે, પ્રહલાદ પછી નરસિંહને પ્રાર્થના કરવા લાગ્યો, તેથી પ્રસન્ન થઈને નરસિંહે તેને ખોળામાં બેસાડ્યો અને શાંત થઈ ગયો.

(9:55 pm IST)