Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સુરત ખાતે વિકાસકાર્યોનું લોકાર્પણ

આજે ૪૯૪ કરોડના કાર્યોનું લોકાર્પણ

અમદાવાદ, તા. ૧૭, મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ ૧૮મી જાન્યુઆરી, ગુરુવારે સાંજે સુરત મહાનગરપાલિકા તથા સુરત શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂપિયા ૪૯૪ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુહૂર્ત કરશે. રાજ્યના સર્વાંગી અને સમતોલ વિકાસની ઉજ્જવળ પરંપરાને આગળ ધપાવવા મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકા અને સુડા એરિયામાં રેલવે ઓવરબ્રિજ, બ્રિજ વિસ્તૃતીકરણ, નવી ડ્રેનેજ યોજનાઓ, પ્રાથમિક શાળાઓ, બગીચાઓ સહિતના આશરે રૂપિયા ૩૦૦ કરોડના વિવિધ લોકોપયોગી કાર્યોના લોકાર્પણની ભેટ સુરતની જનતાને આપવાના છે તે સાથે જ રૂપિયા ૧૯૨ કરોડની લોકોપયોગી યોજનાઓનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી કરશે. વિજય રૂપાણી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત અગિયારમાં એક્ઝિબિશન-ઉદ્યોગ-૨૦૧૮નું ઉદ્ઘાટન પણ કરવાના છે. આ કાર્યક્રમમાં ભારત ખાતે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર મોહમ્મદ લુત્ફર રહેમાન, ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વનમંત્રી ગણપત વસાવા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, સાંસદો, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.

 

(9:29 pm IST)