Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નોકરીથી પરત ફરતા સુરતી શ્રમજીવી પર અજાણ્યા શખ્સોએ ચપ્પુનો હુમલો કરતા ચકચાર

સુરત:ડીંડોલીમાં નોકરીએથી પરત ઘરે જતા શ્રમજીવીને લબરમૂછીયાઓની ટોળકી પૈકી એકે તેને ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુતરમાં નવાગામ  ડીંડોલી સી.આર. પાટીલ રોડ શિવકૃપા સોસાયટીમાં રહેતો ૩૨ વર્ષીય અનિલ લહુરી કશ્યપ લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. ગત સાંજે ૭-૩૦ વાગ્યે અનિલ નોકરીએથી છુટી ચાલતો ઘરે જતો હતો ત્યારે સોસાયટીની નજીક વારિગૃહની ટાંકી પાસે રોડ ઉપર બે એકટીવા ઉપર ૧૭ થી ૨૦ વર્ષના છ અજાણ્યા તેની પાસેથી પસાર થયા હતા.

તે પૈકી એકે અનિલના માથામાં ટપલી મારવા પ્રયાસ કરતા અનિલ નમી ગયો અને તેણે બૂમ પાડી ઠપકો આપતા કહ્યું હતું, ઐસા  ક્યું કરતા હૈ? જેથી લબરમૂછીયા યુ-ટર્ન કરી પરત આવ્યા અને એકે અનિલના પેટમાં ચપ્પુનો ઘા મારી દીધો હતો. ડીંડોલી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ પી.આઇ. ડી.ડી. પવાર કરી રહ્યાં છે.

(6:48 pm IST)