Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

કોંગ્રેસમાં તોળાતા ફેરફારોઃ હવે ૨૦૧૯ લક્ષ્ય

આજે પ્રદેશ પ્રમુખ સોલંકી, વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં બેઠક

અમદાવાદ તા. ૧૬ : વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના પ્રોત્સાહક દેખાવ પછી હવે આગામી એપ્રિલ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પણ બે દશક કરતાં શ્રેષ્ઠ દેખાવ કરવા પ્રદેશ નેતૃત્વએ અત્યારથી કવાયત શરૂ કરી છે. મંગળવારે સ્થાનિક ચૂંટણીઓ માટે યોજાનારી બેઠક બાદ સાંજે પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ પદાધિકારીઓની એક મહત્વની બેઠક યોજાનાર છે.

આ બેઠકમાં સ્થાનિક ચૂંટણીઓમાં જીત માટેની વ્યૂહરચના સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસમાં કેટલાક સંભવિત ફેરફારો અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવનાર છે. હાલ કોંગ્રેસની પ્રાથમિકતા હવે રાજયમાં યોજાનારી ચૂંટણીઓમાં જીત છે. આ માટે કેવી રણનીતિ હોવી જોઇએ તેના પર ચર્ચા થશે. ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં કોંગી ધારાસભ્યો ચૂંટાયેલા હોવાથી તેને જીતવા માટે સંયુકત પ્રયાસો કરવામાં આવશે.

ડિસેમ્બરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કરવામાં સફળ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે આગામી લોકસભાની ચૂંટણી માટે વિધાનસભાની જેમ જ વેળાસર વ્યૂહરચના તૈયાર કરી આગળ વધવા માટે સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. તેના ભાગરૂપે કોંગ્રેસના વર્તમાન માળખામાં હાલ કાર્યકારી પ્રમુખો અને અન્ય પદાધિકારીઓની વધારે સંખ્યામાં આંશિક ઘટાડો કરી દરેકની જવાબદારી નક્કી કરવાની તૈયારી માટે મંગળવારે ચર્ચા હાથ ધરાશે. કોંગ્રેસમાં હાલ પ્રમુખ ભરતસિંહ સોલંકીના જ વડપણ હેઠળ આગળ વધવાનો સંકેત રાષ્ટ્રીય અધ્યક્ષે આપ્યો છે. આ સંજોગોમાં બાકીના પદાધિકારીઓમાં ફેરફારો કરાશે.

અહીં નોંધવુ જરૂરી છે કે, વિપક્ષી નેતા પદના ચહેરાની પસંદગી પ્રક્રિયા વખતે કોળી સમાજના પ્રતિનિધિ તરીકે કુંવરજી બાવળીયાની પસંદગી માટે દબાણ ઊભું કરવાનો પ્રયાસ થયો હતો. આ જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી વલણ અપનાવનાર આંદોલનકારી નેતા હાર્દિક પટેલે પણ પરેશ ધાનાણી માટે જાહેર નિવેદન કરતાં રાષ્ટ્રીય નેતૃત્વના આદેશથી પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે તેની આકરી નિંદા કરી આવા કોઇ દબાણોને કોંગ્રેસ કયારેય વશ થશે નહીં તેમ સ્પષ્ટ કર્યું હતું. અલબત્ત, રાહુલ ગાંધીની પસંદગી પ્રમાણે પરેશ ધાનાણીની પસંદગી થયા પછી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી. કોંગ્રેસની મંગળવારે મળનારી પદાધિકારીઓની બેઠકમાં કુંવરજી બાવળીયાના મુદ્દે પણ વલણ સ્પષ્ટ કરી દેવામાં આવશે..

કોંગ્રેસના સૂત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસમાં હવે પદની સાથે જવાબદારીનું વહન થાય એ રીતે જ પદ સોંપાશે. માત્ર લોબિંગ અને વર્ચસ્વના કારણે પદ મેળવી જવાબદારી વહન નહીં કરનારા કાર્યકરોને આગામી સમયમાં દૂર કરવામાં આવશે.

૧૯મીએ પરેશ ધાનાણી વિપક્ષી નેતાનો પદભાર સંભાળશે

વિધાનસભામાં વિપક્ષી નેતા પદના ઉમેદવાર તરીકે કોંગ્રેસ નેતૃત્વ દ્વારા પરેશ ધાનાણીની પસંદગી કરવામાં આવી છે. પરેશ ધાનાણી પ્રદેશ નેતૃત્વની ઉપસ્થિતિમાં ૧૯ જાન્યુઆરીએ પોતાનો પદ ભાર સંભાળશે. હાલ વિપક્ષી નેતાની કચેરી સ્વર્ણિમ સંકુલ-૨માં ખસેડવામાં આવી છે. જોકે, વિધાનસભાના અંદાજપત્ર સત્ર પહેલા વિધાનસભા સંકુલમાં સત્તાવાર વિપક્ષી નેતાની કચેરી શિફટ થતાં તેઓ ત્યાં બેસશે.

સ્થાનિક ચૂંટણીમાં જીતને પ્રાધાન્ય

રાજયમાં ફેબ્રુઆરીમાં યોજાનારી બે જિલ્લા, ૧૭ તાલુકા અને ૭૫ નગરપાલિકાની ચૂંટણીઓ સંદર્ભે મંગળવારે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રદેશ આગેવાનોની જિલ્લાના કાર્યકરો સાથે એક બેઠક મળનાર છે. પ્રદેશ પ્રવકતા મનિષ દોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મંગળવારે બપોરે ૨ વાગે રાજીવ ગાંધી ભવન ખાતે આ બેઠક મળશે. કોંગ્રેસ વિધાનસભાની જેમ જ સ્થાનિક ચૂંટણીઓમાં વિનેબિલિટીને જ પ્રાધાન્ય આપશે, તેમ કહી દોશીએ કહ્યું કે, સ્થાનિક ચૂંટણીઓમાં જીતી શકે તેવા અમારા કાર્યકરોમાંથી અમે જિલ્લા સ્તરેથી પસંદગી કરવાના છીએ. આ ઉમેદવારોમાં વિધાનસભામાં તક ન મળી હોય અથવા તો થોડાક જ માર્જીનથી હારી ગયા હોય એવા ઉમેદવારોને પસંદગી અંગેનો નિર્ણય નેતૃત્વ દ્વારા લેવાશે..

(10:47 am IST)