Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

નસબંધી ઓપરેશન બાદ મહિલા ગર્ભવતી થતા ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ વળતર મેળવવા માટે અરજી

અમદાવાદ: કુટુંબ નિયોજન હેઠળ નસબંધીના ઓપરેશન પછી ફરીવાર પ્રેગ્નન્સી રહી જતાં અને બાળકનો જન્મ થતાં મહિલાએ વળતર મેળવવા માટે રાજ્યના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ અરજી કરી છે

મહિલાએ દાવો કર્યો છે કે તેને ત્રણ બાળકો છે અને નિષ્ફળ નસબંધીને લીધે તે ફરીવાર પ્રેગ્નેન્ટ થઈ અને બાળકનો જન્મ થયો છે. જેથી તેનું ફેમિલી પ્લાનિંગ ડિસ્ટર્બ થયું છે અને નિષ્ફળ ઓપરેશન પછી જન્મેલા બાળકના આજીવન નિભાવ ખર્ચ પેટે 10 લાખ રૂપિયા, માનસિક આઘાતના 2 લાખ રૂપિયા અને નિષ્ફળ ઓપરેશનના 5 હજાર રૂપિયા વળતરની માંગ કરી હતી. મહિલાએ ઓપરેશન કરનાર સરકાર માન્ય ડોકટર સામે આમ કુલ 12.05 લાખ રૂપિયા વળતર મેળવવાની અરજી કરી છે.

ઓપરેશન કરનાર સરકાર માન્ય ડો. દર્શન કેલા તરફે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ જવાબ રજૂ કરતા જણાવાયું હતું કે મહિલાઓમાં ટ્યુબકટોમી નસબંધી ઓપરેશનના દર 400 કેસ પૈકી 1 કેસમાં ઓપરેશન કુદરતી કારણસર નિષ્ફળ થઈ જાય છે. ડોકટર તરફે પેપર્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નસબંધીના નિષ્ફળ કેસમાં મહિલા ડોકટરને જવાબદાર માની શકશે નહિ અને આ પેપર્સ પર અરજદાર મહિલાની સહી પણ છે

ડોકટર દ્વારા મહિલાઓમાં નિષ્ફળ ટ્યુબકટોમી ઓપરેશન પાછળ રજૂ કરાયેલા કારણોમાં ફેલોપીઅન ટ્યૂબનું ફરીવાર જોડાઈ જવું,જો ટ્યૂબ પેટમાં કુદરતી રીતે ખુલી થઈ ગઈ હોય તો ગર્ભાશય સિવાયની જગ્યા પર ગર્ભ રહી શકે છે.

પોમોરોસ ટેક્નિક મુજબ ઓપરેશન દરમિયાન ટ્યૂબને બાંધી કાપીને પૂર્ણ રીતે દૂર કરવામાં ન આવે તો પણ સમસ્યા થઈ શકે

સગર્ભાવસ્થાની શરૂઆતના સમયગાળામાં ક્લિનિકલી શોધી ના શકવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે

ડોકટર તરફે કેટલીક આંકડાકીય માહિતી પણ રજૂ કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2006 થી 2017 વચ્ચે કરાયેલા કુલ કુટુંબ નિયોજન ઓપરેશન પૈકી 106 ઓપરેશન કુદરતી કારણસર નિષ્ફળ ગયા છે. ફરિયાદીને ઓપરેશન કરાવ્યા પછી ભવિષ્યમાં ગર્ભ રહેશે નહી તેવી ખાત્રી આપવાનો પ્રશ્ન રહેતો નથી. ફરિયાદીએ સરકાર સમક્ષ વળતરની માંગ કરવી જોઈએ તેવો ડોકટર તરફે દાવો કરવામાં આવ્યો હતો

ડોકટર તરફે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે ફરિયાદીએ ફેમિલી પ્લાનિંગ હેઠળ નસબંધીનું ઓપરેશન કરાવ્યું હતું અને જો ઓપરેશનને લીધે કોઈ તકલીફ કે નિષ્ફળ થાય ત્યારે વળતર મેળવવા માટે સરકારના જવાબદાર વિભાગ સમક્ષ અરજી કરવી જોઈએ. અરજદારે વળતર મેળવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સમક્ષ અરજી કરવી જોઈએ. સરકારી નિયમો પ્રમાણે નસબંધીના નિષ્ફળ કિસ્સામાં 30,000 રૂપિયાનું વળતર ચુકવવામાં આવે છે.

બંને તરફની રજુઆતને ધ્યાનમાં રાખીને ગ્રાહક તકરાર નિવારણ પંચે નોંધ્યું હતું કે જો સરકારે નસબંધીના નિષ્ફળ કેસમાં વળતર મેળવવા માટે નીતિ ઘડી છે, ત્યારે અરજદારે વળતર મેળવવા માટે યોગ્ય સત્તાધીશો સમક્ષ અરજી કરી શકે છે. અરજદાર મહિલાએ ડિસેમ્બર -2017માં નસબંધીનો ઓપરેશ કરાવ્યો હતો અને જાન્યુઆરી -2019માં એ ફરીવાર ગર્ભવતી થઈ હતી.

(7:01 pm IST)