Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ

કોરોના વોરીયર્સ આરોગ્ય કર્મચારીઓને સૌ પ્રથમ રસી આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :આખા દેશના લોકો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા તે કોરોના સામે રક્ષણ આપતા કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે કોવીશીલ્ડ વેક્સીનેશનની શરૂઆત  કરવામાં આવી અને કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને સૌ પ્રથમ રસી આપવામાં આવી હતી.   

  વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા વેક્સિનેશનનો શુભારંભ કરાવ્યા બાદ મણીપુરા ખાતે વિરમગામના અગ્રણી  ગાયનેકોલોજીસ્ટ ડૉ. તેજશ્રીબેન પટેલ દ્વારા કોવીશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ લઇને વેક્સીનેશનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ દિવસે સરકારી આરોગ્ય કર્મચારીઓ, પ્રાઇવેટ પ્રેક્ટિસનર્સ સહિતના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી હતી. રસીકરણ કેન્દ્ર પર જિલ્લા કક્ષાએથી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો ચિંતન દેસાઇ ઉપસ્થિત રહ્યા અને કામગીરી સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

 આ લખાય છે ત્યાં સુધીમાં ૫૫થી વધુ કોરોના વોરીયર્સે વેક્સીન લીધી હતી અને કોઇ પણ વ્યક્તિને સાઇડ ઇફેક્ટ થઇ નથી. આ કાર્યક્રમમાં મેડીકલ ઓફિસર ડો. રવીન્દ્રસિંહ વાઘેલા, ડો.દિપક પટેલ, ડો.શરદ પાલીવાલ, ડો.અજય વસાણી, ડો.રાકેશ ભાવસાર, ડો.કિરણ પંચાલ, નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, પ્રમોદભાઇ પટેલ સહીતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. જેમ કે, માસ્કનો ઉપયોગ કરીશુ, સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોઇશુ, હાથ મિલાવવાના બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરીશુ, વ્યક્તિઓ વચ્ચે  સોશિયલ ડિસ્ટન્સ  રાખીશુ. ગભરાહટ નહીં, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી છે.

(3:06 pm IST)