Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટના :અંગદાનમાં મળી મોટી સફળતા: ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બંને હાથનું દાન થયુ : સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ફેફસાનું દાન સ્વીકારાયું

નડીયાદના બ્રેઇન ડેડ અરૂણભાઇ પ્રજાપતિના હ્યદય અને ફેફસા ચેન્નઇ જ્યારે બંને હાથ મુંબઇ ગ્રીન કોરિડોર મારફતે લઇ જવાયા: સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટર તરીકેની મંજૂરી મળ્યાના ૩૦૦ દિવસમાં ૧૪ અંગદાન થકી ૩૮ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પથરાયો : સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી: બંને હાથના દાન મેળવવાના દેશમાં ૫ અને વિશ્વમાં ૧૧૦ કિસ્સા નોંધાયા છે

અમદાવાદ : દશેરાનો પવિત્ર દિવસ આજે સિવિલ હોસ્પિટલ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો હતો.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિઆદના ૫૨(બાવન) વર્ષીય અરૂણભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવાર જનોએ અંગદાન માટેની તૈયારી દર્શાવી હતી.

 અરૂણભાઇ પ્રજાપતિના અંગોના દાન થકી ગુજરાતમાં પ્રથમ વખત બંને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બંને ફેફસાનું પણ દાન મળ્યુ હતુ. બ્રેઇનડેડ અરૂણભાઇનું હ્યદય અને બંને કિડનીનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી.
અંગદાનમાં મળેલ બંને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના ૨૨ વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે હ્યદય અને ફેફસાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા. બંને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.
 સમગ્ર વિગતો આપતા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાને દશેરાના પવિત્ર દિવસે ૩૦૦ દિવસ પૂર્ણ થયા છે. આ ૩૦૦ દિવસોમાં કોરોનાકાળની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં ૧૪ બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાન મેળવવામાં સફળતા મળી છે.
અત્યાર સુધીમાં ૧૪ બ્રેઇનડેડ દર્દીઓના  કુલ ૫૦  અંગોનું દાન સ્વીકારાયુ છે. જેમાં ૧૪ લીવર, ૨૫ કિડની, ૪ સ્વાદુપિંડ, ૩ હ્યદય, ૨ હાથ અને ૨ ફેફસાનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત ૩૨ આંખોના પણ દાન મેળવવામાં સફળતા મળી છે. આ તમામ અંગોના દાન થકી ૩૮ થી વધુ વ્યક્તિના જીવનશૈલીમાં સુધાર આવ્યો છે તેમજ તેમને નવજીવન મળ્યું છે. આ તમામ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પથરાયો છે તેમ ડૉ. રાકેશ જોષીએ ઉમેર્યુ હતુ.
દશેરાના દિવસે અરૂણભાઇના થયેલ અંગદાનની વિગતમાં તેઓ નડીઆદ ના વતની હતા. તેઓને મગજના ભાગમાં ગાંઠ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યા તેઓ બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા અરૂણભાઇના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા.
જેમાં તેમના પરિવારજનોએ સામાન્યત: થતા હ્યદય, ફેફસા અને કિડનીના અંગોના દાન માટે સમંતિ દર્શાવી હતી. સાથો સાથો પ્રથમ વખત એવું બન્યું કે અંગદાનમાં બંને હાથના દાન માટે પણ  પરિવારજનો દ્વારા સંમતિ દર્શાવવામાં આવી હોય.

   અત્રે ઉલ્લેખનીય છે કે બાબત એ છે કે, બંને હાથોના દાન સ્વીકાર્યા બાદ કોઇ એક જ જરૂરિયાતમંદ વ્યક્તિમાં બંને હાથનું પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની રહી હતી. જ્યારે સમગ્ર દેશમાં સંભવિત વર્ષ ૨૦૧૫ માં પ્રથમ વખત બંને હાથનું દાન સ્વીકારીને પ્રત્યારોપણ કરવામાં આવ્યુ હતુ.અત્યારસુધીમાં ૫ કિસ્સામાં આ પ્રકારની સફળતા મળી છે. જ્યારે વિશ્વ સ્તરે આ પ્રકારના ૧૧૦ કિસ્સા નોંધાયા છે.

હૃદય અને ફેફસાં સાંજે  7:00 કલાકે  ગ્રીન કોરિડોર મારફતે  ચેન્નઈના જરૂરિયાતમાં દર્દીમાં પ્રત્યારોપણ કરવા સીવીલ હોસ્પિટલ થી મોકલવામાં આવશે
રીટ્રાવલ પ્રક્રિયા દરમિયાન 7:00 જ ફાઇનલ થશે કે હૃદય અને ફેફસાં મેળવવામાં પણ સફળતા મળી છે કે નહીં
હાલ ૫:૩૦ કલાકના સ્ટેટસ પ્રમાણે ફક્ત બંને હાથ અને કિડનીનો ઉલ્લેખ કરેલ છે  (-અમિતસિંહ ચૌહાણ)

દરમિયાન હ્યદય અને ફેફસા બંનેમાં પણ  સફળતા મળેલ છે અને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઈ જવા રવાના થઇ રહ્યા છે

(7:43 pm IST)