Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

અમદાવાદમાં દશેરા નિમિતે ફાફડા-જલેબી ખાવા માટે લોકોની લાઇનો લાગીઃ પ્રતિ કિલોના ભાવમાં 40થી 50નો વધારોઃ આયુર્વેદિક રીતે પણ જલેબી ગુણકારી

માઇગ્રેનની સમસ્‍યાથી છૂટકારો મેળવવા માટે ઉપયોગી

અમદાવાદ: નવરાત્રિના છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ ગાતા હોય છે, અને ભલે રાત્રે મોડે સુધી ગરબા ગાયા હોય પરંતુ બીજા દિવસે વહેલા ઉઠીને ફાફડા-જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે. વહેલી સવારથી જ ગુજરાતીઓ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે. તાજા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ, સાથે લાલ મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાંબી લાઈનમાં ઉભા રહી જાય છે. અહંકારરૂપી અંધકાર પર પ્રકાશના વિજય પર્વ 'દશેરા'ની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતીઓ ફાફડા-જલેબીની જ્યાફત ઉડાવી રહ્યા છે. તો સાથે જ લોકો નવા વાહન, મકાન, જમીન તથા સોના-ચાંદીની ખરીદી કરી રહ્યા છે.

દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવામાં આવતી હતી. જલેબીની વાત તો જાણી? હવે સવાલ થાય કે ફાફડા જ કેમ ખવાય છે સાથે.. કારણ એ છે કે જલેબી ખૂબ ગળી હોય છે, જલેબી ખૂબ ગળી હોય છે જે એકલી ખાઈ શકાતી નથી. ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે, વર્ષો પહેલા આ રીતે જલેબી સાથે ફાફડા ગોઠવાઈ ગયા. આ રીતે જ દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ અને તે હજી જળવાઈ રહી છે.

અમદાવાદમાં આજે દશેરા પર્વની ઉજવણી પર ફાફડા જલેબી ખરીદવા સ્વાદ રસિયાઓ ઉમટ્યા છે. ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબી ખરીદવા લાંબી લાઈન જોવી મળી છે. દશેરાના દિવસે ફાફડા જલેબીનું સૌથી વધુ વેચાણ થાય છે. આજના દિવસમાં અમદાવાદીઓ લાખો રૂપિયાના ફાફડા જલેબીની આનંદ માણશે. જલેબી અને ફાફડા બંનેના ભાવમાં પ્રતિ કિલોના 40 થી 50 રૂપિયાનો વધારો આવ્યો છે.

વડોદરામાં દશેરા નિમિત્તે ફાફડા જલેબી ખરીદવા લોકોની લાંબી લાઈન લાગી છે. એક કલાક લાઈનમાં ઊભા રહી લોકો ફાફડા જલેબીની જ્યાફત ખાઈ રહ્યાં છે. એક કિલો ફાફડાનો ભાવ 440 રૂપિયા પહોંચ્યા છે. તો એક કિલો જલેબીનો ભાવ 520 રૂપિયા છે. તો સુરતમાં ફાફડા જલેબી માટે મોડી રાતથી લોકો મંડી પડ્યા છે.

હેલ્થ એક્સપર્ટના મતે સપ્ટેમ્બર-ઓકટોબરમાં બે ઋતુ ભેગી થાય છે. આ સમયે હવામાનમાં ફેરફાર થતો હોય છે. ઘણા લોકોને માઈગ્રેનની સમસ્યા રહેતી હોય છે. બે સિઝન ભેગી થવાથી શરીરમાં સિરોટોરિન નામનું તત્વ ઘટી જાય છે અને માઈગ્રેન થાય છે.ગરમાગર જલેબીમાં ટિરામાઈન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કાબૂમાં રાખે છે. પરિણામે માઈગ્રેન થતું નથી તેથી દશેરામાં જલેબી ખાવામાં આવે છે.

(4:48 pm IST)