Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

વડાપ્રધાન મોદીના જન્મદિવસની આજથી ઉજવણી: શરૂ :અમદાવાદમાં તમામ વોર્ડમાં વૃક્ષારોપણ કરાયું

14થી 20 સપ્ટેમ્બર દરમિયાન ભાજપ ‘સેવા સપ્તાહ’ ની દેશભરમાં ઉજવણી કરશે

અમદાવાદ: દેશના વડાપ્રધાન મોદીનો 17 સપ્ટેમ્બર 2020ના રોજ જન્મદિવસ છે,70મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત ‘સેવા સપ્તાહ’ ની ભાજપ દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે જ આજે 14 સપ્ટેમ્બરે પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો, મંત્રીઓ, ભાજપા અગ્રણીઓ તેમજ જિલ્લા અને મહાનગરોમાં સ્થાનિક ભાજપ પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્ય, ગરીબોને અનાજ વિતરણ, દર્દીઓને ફળ વિતરણ, દિવ્યાંગજનોને સહાય સહિતના વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા .

જ્યારે અમદાવાદમાં તમામ વોર્ડમાં વૃક્ષારોપણના કાર્યક્રમોથી સેવા સપ્તાહની શરૂઆત થઈ છે વૃક્ષારોપણ થકી આવનારા સમયમાં પર્યાવરણની જાળવણીના સંદર્ભે “સિંગલ યુઝ પ્લાસ્ટિક”નો બહિષ્કાર જેવા સકારાત્મક સંદેશ દ્વારા પ્રજામાં જાગૃતિ લાવવાનો નમ્ર પ્રયાસ ભાજપા દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને શહેર અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નિકોલ, ગાંધીનગર લોકસભા ઇન્ચાર્જ ડો. હર્ષદ પટેલ ગોતા-નવા વાડજ ખાતે તેમજ ભાજપના ધારાસભ્યો પોતાની વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા.

આવતીકાલે સેવા સપ્તાહ નિમિત્તે મહાનગરના તમામ વોર્ડમાં નિ:શુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવશે જેમાં ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહીને સેવા સપ્તાહના સેવાયજ્ઞને આગળ ધપાવશે.

ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ દ્વારા વડોદરા ખાતે સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં સ્વચ્છતા કાર્ય કરવામાં આવ્યું. આ ઉપરાંત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ દ્વારા આણંદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરાવવામાં આવ્યો તેમજ પેટલાદ ખાતે ‘કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા સ્થાનિક જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી સેવા અને જનજાગૃતિના કાર્ય સાથે કરવા 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લા-મહાનગર-મંડલમાં ભાજપ કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો, વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્યક્રમો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ અંગે, પર્યાવરણના સંરક્ષણ અંગે જનજાગૃતિનું કાર્ય કરવામાં આવશે.

 

(12:58 am IST)