Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

IITEમાં પ્રવેશ પરીક્ષામાં 50 ટકાનું ધોરણ રદ્દ કરી મેરીટના આધારે પ્રવેશ આપવા કોંગ્રેસની માંગણી

પરીક્ષા આપનારા તમામને લાયક ગણી મેરીટ આધારે પ્રવેશ આપવા કોંગ્રેસે IITEના કુલપતિને રજૂઆત કરી

અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર યુનિવર્સિટી ( IITE )માં પ્રવેશ પ્રક્રિયા માટે 50 ટકા પરિણામનો નિયમ સત્વરે રદ્દ કરી મેરીટના આધારે પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવામાં આવે. આ સાથોસાથ પ્રવેશ પ્રક્રિયા માટે વિધાર્થીઓને ગાંધીનગર બોલાવવાની જગ્યાએ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોષીએ કરી છે.

ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર યુનિવર્સિટી (IITE)ના કુલપતિને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં આઈ.આઈ.ટી.ઇ દ્વારા વિધાર્થીઓ માટે બી.એડ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં 90 ટકા જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેવો દાવો કરવામાં આવ્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ કયા વિસ્તારના, કયા જિલ્લાના, કેટલા વિદ્યાર્થીઓ, કયા વિષયના કેટલા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી અને તેમાં કેટલા ઉતીર્ણ થયા તેવી કોઈ બાબત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવી નથી

જેના પગલે વિદ્યાર્થીઓમાં એક અજંપાની સ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રાન્ટેડ કોલેજની જગ્યાએ સેલ્ફ ફાયનાન્સ કોલેજની સીટો વધુ ભરાય એ માટે 50 ટકાએ પાસનું સ્તર રાખવા આવ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. ત્રણ મહિના જેટલા લોકડાઉન, ધંધા રોજગાર પડી ભાગ્યા આ સ્થિતિમાં વાલી-વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ કથળી છે ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ ગ્રાન્ટેડ કોલેજમાં થાય તે માટે પ્રવેશ પરીક્ષામાં 50 ટકાનું ધોરણ રદ્દ કરી પરીક્ષા આપેલ તમામને લાયક ગણી મેરીટ આધારે પ્રવેશ આપવામાં આવે તેવી વિધાર્થીઑના શિક્ષણનાં હિતમાં માંગ કરું છું.

NCTE ના નિયમ અનુસાર સ્નાતક/અનુસ્નાતક કક્ષાએ 50 ટકા મેળવનાર બી.એડ પ્રવેશ માટે લાયક ગણાય છે ત્યારે આ વધારાની પ્રવેશ પરીક્ષામાં 50 ટકા ન લાવી શકે તો લાયકાત ધરાવતા વિધાર્થીઓ પણ પ્રવેશ મેળવવાથી વંચિત રહી જાય છે. છેવટે સેલ્ફ ફાયનાન્સમાં પ્રવેશ લેવા મજબૂર બને છે સાથોસાથ કોરોના મહામારીમાં જ્યારે શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે બંધ છે ત્યારે પ્રવેશ પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓને ગાંધીનગર બોલાવવા કેટલા યોગ્ય ? આ પ્રકારની તમામ બાબતો સાથે આપને વિનંતી કરું છે કે પ્રવેશ પ્રક્રિયા માટે 50 ટકા પરિણામનો નિયમ સત્વરે રદ્દ કરી મેરીટ આધારે પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવામાં આવે સાથોસાથ પ્રવેશ પ્રક્રિયા માટે વિધાર્થીઑને ગાંધીનગર બોલાવવાની જગ્યાએ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે.

 

(9:55 pm IST)