Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

અમદાવાદમાં વિદ્યાના મંદિર તરીકે ઓળખાતી સ્‍કુલમાં ચોરી કરનાર 2 શખ્‍સો ઝડપાયાઃ લોકડાઉનમાં શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ચોરી કરી હોવાનું ખુલ્‍યુ

અમદાવાદઃ વિદ્યાના મંદિર તરીકે ઓળખાતી સ્કૂલમાંથી ચોરી કરનાર બે શખ્સોની સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે. ગત માર્ચ મહિનામાં એલિસબ્રિજ શાળા નંબર - 29 માંથી થયેલ લાખો રૂપિયાના ચોરીના મુદ્દામાલ  કબ્જે કરી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વિદ્યાના મંદિર તરીકે ઓળખાતા સ્કૂલમાં જ્ઞાન મેળવવા કે અભ્યાસ માટે સૌ જતા હોય છે.  પરંતુ સેટેલાઈટ પોલીસે બે એવા શખ્સોની ધરપકડ કરી છે કે જેઓ સ્કૂલમાં ચોરી કરવા માટે ગયા હતા.  ગત માર્ચ 2021માં એલિસબ્રિજ શાળા નંબર 29 માંથી LED ટીવી, લેપટોપ, સ્પીકર, પ્રિન્ટર સહિતની ચીજવસ્તુઓની ચોરી થઈ હતી.  જે અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ સીસીટીવી કે અને મદદ પોલીસને નહીં મળતા આરોપી સુધી પહોંચી શકી નહોતી.

જોકે સેટેલાઈટ પોલીસની ટીમને ચોક્કસ હકીકત મળતા આરોપી નીલેશ વોરા અને રાજેશ સિંગલની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપીઓ ચોરીની ટેવ વાળા હોવાનું સામે આવ્યું છે. જેમાં લોકડાઉન દરમિયાન સ્કૂલ બંધ હતી ત્યારે ચોરી કરી વસ્તુ વેચી શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે આરોપીઓ ચોરી કરી હતી. એટલું જ નહીં આરોપી રાજેશ સિંગલ અગાઉ પણ પાલડી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. 

મહત્વનું છે કે પકડાયેલ આરોપીઓની મોડેસ ઓપરેન્ડી પણ પોલીસને ધ્યાને આવી છે કે રાત્રિના સમય દરમિયાન શાળા દુકાન કે ઘરના દરવાજાનું લોક તોડી આ શખ્સો ચોરી કરતા હતા. હાલ તો સેટેલાઈટ પોલીસની ટીમે ચોરીમાં ગયેલ એલઇડી ટીવી લેપટોપ સ્પીકર અને પ્રિન્ટર મશીન 88 હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. અને વિદ્યા મંદિર માંથી ચોરી કરનાર બન્ને શખ્સોને કાયદાનો પાઠ ભણાવ્યો છે.

(4:30 pm IST)