Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

૧૦૮ વગર આવતા દર્દીને દાખલ કેમ કરાતા નથી?

અમદાવાદના કોરોના વોરિયરનો સવાલ : સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે, તેવામાં સૌનું ધ્યાન ખેંચે તેવી બાબત સામે આવી

અમદાવાદ,તા.૧૫ : કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે તેવામાં  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હૉસ્પિટલમા ૧૦૮ એમ્બ્યુલન્સ વગર આવતા દર્દીઓને દાખલ નહિ કરવામાં આવતા હોવાનું સામે આવ્યુ છે. જેની સામે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર એવા ડૉ. વસંત પટેલે સવાલો ઉઠાવ્યા છે. આવા દર્દીઓના જો મોત થશે તો જવાબદાર કોણ રહેશે? તે એક સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. તેવામાં સૌનું ધ્યાન ખેંચે તેવી બાબત સામે આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છસ્ઝ્ર સંચાલિત એસવીપી હૉસ્પિટલમાં ૬૦૦ બેડની, એલજી હોસ્પિટલમાં ૨૦૦ બેડની અને શારદાબેન હોસ્પિટલમાં ૧૦૦થી વધુ બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. પરંતુ આ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય  અન્ય રીતે આવનારા દર્દીઓને દાખલ કરવામાં નહી આવતા હોવાનો આરોપ ડૉ. વસંત પટેલે લગાવ્યો છે. ડૉ. વસંત પટેલે તંત્ર અને તંત્રના અધિકારીઓ સામે સવાલ ઉઠાવતા જણાવે છે કે, ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને શામાટે શારદાબેન હૉસ્પિટલ, એસવીપીમાં દાખલ કરાતા નથી.

૧૦૮ એમ્બયલન્સ માટે કોલ કરવાનું ટેલિફોનિક વેઈટીંગ ખૂબ લાબું હોય છે. જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ થાય અને તે હોમ કવૉરન્ટીન થયા છે. અચાનક તેમની તબિયત લથડી અને કોઈ કારણ એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થયો ત્યારે તે દર્દી કોઈપણ માધ્યમથી હૉસ્પિટલમાં દાખલ થવા પહોંચ્યો તે દાખલ થવો જોઈએ.  તેવા સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દી દાખલ થાય તેવો આગ્રહ કેમ રાખવામાં આવે છે. આ પ્રકારના નિયમ અને કાયદા બનાવવા પાછળ લોજીક શુ છે. આ રીતે દાખલ નહિ કરીને જો દર્દીનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ? આવા અન્યાયભર્યા નિયમો બનાવનાર અધિકારીઓને આ સેવામાંથી મુક્ત કરવા સરકારને અપીલ કરી છે.

(9:16 pm IST)