Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોરોના લઇ રહયો છે યુવાનોનો ભોગ

૪૫થી ઓછી વયના દર્દીઓનો મૃત્યુઆંક વધ્યો

કોરોના વાયરસ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારે યુવાનો પર હુમલો કરી રહ્યો છેઃ જેના કારણે ૪૫ થી ઓછી વય ધરાવતાં દર્દીઓનો મૃૃત્યુઆંક વધ્યો છે૨૦૨૦ની સરખામણીમાં નાની વયના દર્દીઓમાં ગંભીરતા અને મૃત્યુદરમાં ઝડપથી વધારો

અમદાવાદ/વડોદરા/સુરત, તા.૧૫: ગુજરાતના સૌથી નાની ઉંમરના કોવિડ-૧૯ના દર્દીઓમાંથી એક ૧૪ દિવસના બાળકનું બુધવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. નવજાત બાળકનો પરિવાર તાપી જિલ્લાના ઉચ્છળ ગામમાં રહે છે. ૧૪ દિવસની અન્ય એક નવજાત બાળકી પણ શહેરની ડાયમંડ હોસ્પિટલમાં જીવન સામે જંગ લડી રહી છે, જે હાલ વેન્ટિલેટર પર છે.

૧૨મી એપ્રિના રોજ, સચિવાલયમાં ડેપ્યુટી સેકશન અધિકારી તરીકે કામ કરતાં ચિરાગ સોલંકીનું કોરોનાના કારણે નિધન થયું હતું. તેની ઉંમર માત્ર ૨૬ વર્ષ હતી. જૂનાગઢના એક સાધારણ પરિવારમાંથી આવતા સોલંકીએ એક વર્ષ પહેલા જ સરકારી નોકરી મેળવી હતી. ડોકટરોએ જણાવ્યું હતું કે, ચિરાગ તંદુરસ્ત યુવક હતો, પરંતુ વાયરલ કોવિડ-૧૯ના કારણે તેનું સ્વાસ્થ્ય બગડ્યું હતું.

બુધવારે, ગુજરાતમાં ફરી એકવાર કોવિડ-૧૯ના નવા રેકોર્ડબ્રેક ૭,૪૧૦ કેસ નોંધાયા હતા અને ૭૩ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે, નિષ્ણાતોનું કહેવું છે કે અગાઉની સરખામણીમાં આ વખતે કોરોના વધુ યુવાનોના જીવનનો ભોગ લઈ રહ્યું છે.

રાજયના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જુદા-જુદા વયજૂથના મૃત્યુની સંખ્યા અંગે મૌન સેવ્યું હતું. ત્યારે વિભાગના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, એપ્રિલમાં ૪૫ વર્ષથી નીચેની વયના દર્દીઓની સંખ્યા વધીને ૧૫ થી ૧૭ ટકા થઈ છે. માર્ચ મહિનાના મધ્યમાં આ સંખ્યા માત્ર ૯.૫્રુ હતી. રાજયમાં છેલ્લા ૧૪ દિવસમાં ૪૭૬ મૃત્યુ નોંધાયા છે, તેથી અંદાજિત શેર મોતની સંખ્યાને ૮૦થી વધુ કરે છે. સૌથી મોટો હિસ્સો હજી પણ ૬૦-૭૯ વર્ષનો યથાવત્ છે, જેમાં ૫૫%થી વધુ મોત થયા છે.

અમદાવાદના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ડો. અમિત પ્રજાપતિએ કહ્યું હતું કે, તેમણે હાલમાં જ કોવિડ-૧૯ના કેટલીક જટિલતાઓના કારણે ૨૨ વર્ષના એક યુવકનું મૃત્યુ થતાં જોયું છે.

૨૦૨૦ના સરખામણીમાં નાની વયના દર્દીઓમાં ગંભીરતા અને મૃત્યુદરમાં ઝડપથી વધારો થયો છે. વધારે વાયરલ લોડ, ન્યુમોનિયા સહિત છાતીમાં ચેપ અને અચાનક ચેપ ફેલાવાની શરૂઆતથી ત્રીજા કે ચોથા દિવસે દર્દીની સ્થિતિ વધારે ગંભીર થતાં અમે જોઈ છે', તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતુ કે, કામ કરતી વસ્તી તમામ સલામતીના પગલાંની ખાતરી કરીને સાંકળ તોડવાની ચાવી ધરાવે છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નાની વયના દર્દીઓનો મોતનો આંકડો કુલ મૃત્યુના ૧૫% છે.

GCS હોસ્પિટલના ડો. મંજિત નાયકે જણાવ્યું હતું કે, 'હાઇપરટેન્શન, મેદસ્વીપણું, ડાયાબિટિસ તેમજ અન્ય કો-મોર્બિડિટી ધરાવતા યુવાનો ખાસ કરીને વધારે જોખમ ધરાવે છે'.

વડોદરામાં, રાજય સંચાલિત SSG હોસ્પિટલ અને GMERS મેડિકલ કોલેજમાં ૨૦ થી ૫૦ વર્ષની વય જૂથના ૧૦ દર્દીઓના મોત થયા હતા. જેમાંથી લગભગ અડધા કો-મોર્બિડિટી ધરાવતા હતા. 'ગયા વર્ષે, તેમની સારવાર હોમ આઈસોલેશનમાં રહીને થઈ જતી હતી. પરંતુ આ વર્ષે યુવાન દર્દીઓ હૃદય, કિડની અને ફેફસા જેવા ઓર્ગન્સમાં તીવ્રતા સાથે પાછા આવી રહ્યા છે', તેમ વડોદરાના પલ્મોનોલોજિસ્ટ ડો. અમિત દવેએ જણાવ્યું હતું.

નિષ્ણાતોએ કહ્યું હતું કે, યુવાન દર્દીઓમાં ૮૦ થી ૯૦% ફેફસા ડેમેજ સાથે એકયૂટ રેસ્પિરેટરિ ડિસ્ટ્રેસ સિડ્રોમ (ARDS) જોવા મળી રહ્યું છે. મોટા શહેરોમાં, યુવાન દર્દીઓ ઓકિસજન સપોર્ટ પર છે અને હવે વેન્ટિલેટર સપોર્ટ પણ નવીનતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રારંભના બે દિવસ હળવા લક્ષણોને લીધે અવગણવામાં આવે છે અને તેના કારણે  જ દર્દીઓની સ્થિતિ ગંભીર બને છે.

(12:44 pm IST)