News of Wednesday, 14th February 2018
અમદાવાદ,તા. ૧૪, સમાજમાંથી અંધશ્રધ્ધા, વહેમ,ડર, કહેવાતા ચમત્કારોની પુોલ ખોલતાં અને તેનો પર્દાફાશ કરી વૈજ્ઞાનિક અભિગમથી લોકોને જીવન જીવતા શીખવવાની વર્ષોથી ઝુંબેશ ચલાવતા ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીએશન અને ગોધરાના હ્યુમેનીસ્ટ રેશનાલીસ્ટ એસોસીએશનના પદાધિકારીઓ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતમાં સૌપ્રથમવાર અંધશ્રધ્ધા અને કહેવાતા ચમત્કારોનો પર્દાફાશ કરતી આવાઝ શોર્ટ ફિલ્મ અને વેબ શ્રેણી પાખંડનું લોન્ચીંગ પ્રસંગે જીએમઆરએના પ્રમુખ બિપીન શ્રોફ અને ગોધરાના હ્યુમેનીસ્ટ રેશનાલીસ્ટ એસોસીએશનના સંયોજક ડો.સુજાત વલીએ એક બહુ મહત્વની વાત કહી હતી કે, સમાજમાં અંધશ્રધ્ધા, વહેમ, ડર અને કહેવાતા ચમત્કાર દર્શાવતી ટીવી સિરિયલોના કારણે સમાજમાં ખાસ કરીને મહિલાઓ-બહેનોના દિલોદિમાગ પર ઘણી જ ગંભીર અને ચિંતાજનક અસરો પડી રહી છે. સમાજમાં આજે ભણેલોગણેલો વર્ગ પણ ભૂત,ભુવા અને માતાજીનો પવન આવવા સહિતની અનેક અંધશ્રધ્ધા અને ખોટી માન્યતાઓનો શિકાર બનતો હોય છે ત્યારે સમાજના લોકોએ હવે જાગૃત થઇ જવાની જરૃર છે કે, વાસ્તવમાં આવું કંઇ હોતું જ નથી. માત્ર આર્થિક ફાયદા અને અંગત સ્વાર્થ માટે કહેવાતા ધુતારા તત્વો ભુત,ભુવા અને ખોટી માન્યતાઓમાં ભોળા લોકોને તેનો શિકાર બનાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાખંડ વેબશ્રેણી અને આવાઝ શોર્ટ ફિલ્મ બંનેના નિર્માતા ગોધરા હ્યુમેનીસ્ટ્ રેશનાલીસ્ટ એસોસીએશનના સંયોજક ડો.સુજાત વલી પોતે જ છે, જેઓ ગોધરા સ્વચ્છતા અભિયાનના એમ્બેસેડર પણ છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સતત ધાર્મિક અંધશ્રધ્ધાઓ, સામાજિક ખોટી માન્યતા અને કહેવાતા ચમત્કારોને પડકારતા આવ્યા છે. આજના સમયમાં સામાજિક અંધશ્રધ્ધા,ડર, વહેમ અને કહેવાતા ચમત્કારોનું દૂષણ એટલું પાંગર્યું છે, તેની સામે લોકોને જાગૃત કરવા હવે સોશ્યલ મીડિયાનો સહારો લેવો જરૃરી બની જાય છે કે, જેથી એકસાથે હજારો લોકો આવી શોર્ટ ફિલ્મ અને વેબ શ્રેણી જોઇ જાગૃત થઇ શકે. આવાઝ શોર્ટ ફિલ્મ અને પાખંડની વેબ શ્રેણીને યુ ટયુબ, વોટ્સ એપ, ફેસબુક સહિતના માધ્યમથી સોશ્યલ મીડિયામાં વ્યાપક રીતે પ્રસિધ્ધ કરાશે કે જેથી લોકો આવી અંધશ્રધ્ધા, વહેમ,ડર અને કહેવાતા ચમત્કારો અને ખોટી માન્યતાઓના વળગાડમાંથી દૂર થાય. વેબ શ્રેણી પાખંડમાં દર મહિને નવો એપિસોડ જે સત્ય ઘટના પર આધારિત હશે તે રિલીઝ કરાશે. જીએમઆરએના પ્રમુખ બિપીન શ્રોફ અને ગોધરાના હ્યુમેનીસ્ટ રેશનાલીસ્ટ એસોસીએશનના સંયોજક ડો.સુજાત વલીએ ઉમેર્યું હતું કે, આ સમગ્ર મામલે રાજય સરકારે દરમ્યાનગીરી જરૃરી પ્રયાસો કરવા જોઇએ કારણ કે, અંધશ્રધ્ધા, ડર, વહેમ અને કહેવાતા ચમત્કારોના દૂષણથી સામાજિક પતન થઇ રહ્યું છે, જે ઘણું ગંભીર અને ખતરનાક છે. આ પ્રસંગે જાણીતા રેશનાલીસ્ટ મનીષી જાની, એસો.ના મંત્રી પિયુષ જાદુગરે પણ ભુત, ભુવા, તાંત્રિકોના ચક્કરમાંથી બહાર આવવા અને તેમના દ્વારા ચલાવવામાં આવતા ધૂત અને ઢોંગ-ધતીંગનો પર્દાફાશ કરતા પ્રયોગો સાથેની વાત કહી હતી.