Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અમદાવાદના મણીનગર સ્‍વામિનારાયણ કુમકુમ મંદિરે ૧ર x ૬ ફૂટના વિશાળ ચોપડાની કૃતિનું પૂજનઃ ઓનલાઇન ચોપડા પૂજન સમયે સત્‍કાર્યો માટે નિયમો લેવાડાવાયા

અમદાવાદ: આજે દિવાળીનું પર્વ છે ત્યારે અમદાવાદના મણિનગર ખાતે આવેલ સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્વારા ચોપડા અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું. 12/6 ફૂટના વિશાળ ચોપડાની કૃતિ તૈયાર કરવામાં આવી હતી. ઓનલાઈન તેની ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિરના મહંત સદ્દગુરુ આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઓનલાઈન ચોપડાનું પૂજન તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન સમક્ષ ૧ર x ફૂટ ધરાવતા વિશાળ ચોપડોની કૃતિનું પૂજન કરવામાં આવ્યું હતું. કૃતિમાં જણાવ્યું હતું કે, આપણે જેટલું ભગવાનનું ધ્યાન-ભજન-કીર્તન કરીશું, તેટલું આપણું ખાતામાં જમા થશે અને આપણે ચોરી કરીશું હિંસા કરીશું લાંચ-રૂશ્વત લઈશું તે આપણા ઉધાર ખાતામાં જમા થશે. માટે સૌ કોઈએ સત્કાર્યો કરવા જોઈએ.

ચોપડાના પૂજન પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, હાલ કોરોના વાયરસના કારણે આપણે સૌ કોઈએ ઓનલાઈન ચોપડાનું પૂજન કરવું હિતાવહ છે, મંદિરોમાંથી સંતો દ્વારા ઓનલાઈન પૂજનમાં જોડાવું જોઈએ. આજના યુગ પ્રમાણે ચોપડાની સાથે લેપટોપનું પૂજન કરવામાં આવે તો પણ સરખું ફળ પ્રાપ્ત થાય છે. ચોપડામાં હિસાબ લખવામાં આવે કે, લેપટોપમાં હિસાબ લખવામાં આવે તે બંનેનું સરખું ગૌરવ છે. મુખ્ય વાત છે કે, ભગવાનને સંભારીને હિસાબ લખીએ તો આર્થિક રીતે સુખી થવાય છે. આપણા ભારતમાં દિવાળીના દિવસે ચોપડાપૂજન કરાય છે. સરસ્વતી, લક્ષ્મી દેવી, સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરાય છે. સરસ્વતી દેવી જ્ઞાનરુપી પ્રકાશ આપે છે. માનવમાં સંસ્કાર અને ચારિત્રયનું સિંચન કરે છે. ચોપડા પૂજનમાં કંકુ, કેસર, કસ્તૂરી, હળદર આદિમાં ઝબોળીને દાડમની કલમથી ચોપડા લખવાની પરંપરા છે. ચોપડાપૂજન વખતે બાજુમાં મોરના પીછાંને મૂકવામાં આવે છે.

તેમણે વધુમાં કહ્યું કે, નવા વર્ષમાં સૌમાં નીતિમત્તા, પ્રમાણિકતા, ધર્મ, જ્ઞાન, વેરાગ્ય, ભક્તિ ઉદય થાય તે માટે સ્વામીનારાયણ ભગવાનનું સૌ પૂજન, અર્ચન, આરતી - આરાધના કરે છે. માણસ વર્ષ દરમ્યાન કેટલો નફો - નુકશાન થયો તેનો હિસાબ માંડે છે. તેમ આપણે દેશ અને સમાજની કેટલી સેવા થઈ તેનો આજના દિવસે હિસાબ માંડવો જોઈએ. અને દિન પ્રતિદિન વધુ સેવા થાય તે માટે કટિબદ્ધ બનવું જોઈએ. એવો સંદેશો ચોપડા પૂજનમાંથી પ્રાપ્ત થાય છે.

ઉલ્લેખનીય છે કે, કુમકુમ મંદિર દ્વારા ૩૫ વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. પ્રસંગે આનંદપ્રિયદાસજી સ્વામીએ સ્વામીનારાયણ ભગવાનના ચરણ કમળામાં પ્રાર્થના કરી હતી કે, સહુ કોઈને ધંધામાં વેપારમાં સફળતા મળે. આર્થિક અને શારીરીક રીતે સો સુખી થાય. સારાય ભારતની પ્રજાની આર્થિક મંદી દૂર થાય. સોને ભગવાન સુખી કરે.

(4:35 pm IST)