Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સ્ટેન્ડિંગમાં ફરિયાદ અને લોકોમાં રોષ બાદ અમદાવાદ મનપાનું સોલિડ વેસ્ટ વિભાગ જાગ્યું : સિલ્વર ટ્રોલી તેમજ અન્ય સ્થળે ગંદકી સાફ કરાઈ

મચ્છર ન થાય માટે દવાનો છંટકાવ પણ કરાયો: ગંદકીના કારણે ફેલાતા રોગચાળાને રોકવા માટે અને સ્વચ્છતા લાવવાનો તંત્રનો પ્રયાસ

સ્ટેન્ડિંગ કમિટિમાં આવેલી ફરિયાદ બાદ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ વિભાગ જાગૃત થયું છે. અને શહેરમાં ગંદકી સાફ કરવાનો મનપાએ  પ્રયાસ હાથ ધર્યો છે. શહેરના માધુપુરામાં મનપાએ ગંદકી સાફ કરી હતી. જોકે, સવારે 8 વાગે કચરો ઉપાડ્યા બાદ 10 વાગ્યા પહેલા ફરી તે જ પરિસ્થિતિ ઉદભવી રહી છે. જેથી Amc ની કામગીરી સાથે લોકોમાં જાગૃતિ જરૂરી છે.

નોંધનીય છેકે શાહપુરમાં સિલ્વર ટ્રોલી અવાર નવાર ભરાય છે. સાથે જ સિલ્વર ટ્રોલી બહાર કચરો નાખતા લોકો સામે દંડની કાર્યવાહી કરાશે. તેમજ સિલ્વર ટ્રોલી ભરાઈ તો કોન્ટ્રાકટર સામે પણ કાર્યવાહી કરવાનું અધિકારીએ નિવેદન આપ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં કચરાની સિલ્વર ટ્રોલી પાસે કચરો થતો હોવાની ફરિયાદ મળી હતી.

આ ફરિયાદ બાદ આજે સિલ્વર ટ્રોલી તેમજ અન્ય સ્થળે ગંદકી સાફ કરાઈ હતી. તેમજ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સર્વે પણ કરાયો હતો. શહેરમાં 850 સિલ્વર ટ્રોલીમાંથી 200 જેટલી ટ્રોલી બહાર કચરો થતો હોવાનું સામે આવ્યું છે. સાથે જ મચ્છર ન થાય માટે દવાનો છંટકાવ પણ કરાયો છે.

ચોમાસા દરમિયાન ગંદકીના કારણે ફેલાતા રોગચાળાને રોકવા માટે અને સ્વચ્છતા લાવવાનો તંત્રનો પ્રયાસ છે. આ મામલે શહેરમાં વિવિધ ટીમોને વિવિધ સ્થળે કામે લગાવી દેવાઇ છે. તો લોકોમાં  મનપાની કામગીરીને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.

(1:45 pm IST)