Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

સુરત કોર્પોરેશનમાં મેયર દ્વારા નવતર અભિગમઃ ઘરે બેઠા જ ઓનલાઇન રજૂઆત કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા કામગીરીઃ મેયર હેમાલી બોધાવાલાએ ડેસ્‍કબોર્ડ શરૂ કર્યું

સુરત: સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતના મેયર દ્વારા લોકોના પ્રશ્નના નિરાકરણ લાવવાનો પ્રયાસ ડેસ્ક બોર્ડ દ્વારા શરૂ કરાયો છે. શહેરના જુદાજુદા વિસ્તારના લોકો પોતાના પ્રાથમિક પ્રશ્ન અંગે ઓનલાઇન રજૂઆત કરી શકે છે. લોકોને આવતી ફરિયાદો અંગે મેયર દ્વારા ઝોનલ ઓફિસર સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય સમયમાં નિરાકરણ લાવવાની સૂચના આપી દેવામાં આવે છે. એક મહિનામાં હજારો ફરિયાદ મેયરને ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી છે. જેમાં મોટાભાગની ફરિયાદનો નિકાલ થઈ ચૂક્યો છે. આ ઉપરાત કેટલી સમસ્યાનું નિરાકરણ બાકી છે અને કેટલા સમયમાં થશે તેની પણ વિગત આ ડેસ્ક બોર્ડ પરથી મેળવી શકે છે.

સામાન્ય રીતે લોકો પોતાની સમસ્યા લઈને ઝોન ઓફિસ અથવા તો મનપા કચેરી ખાતે જતા હોય છે. જો કે અહીં પણ અધિકારીઓ દ્વારા આડોડાઈ કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં ઘણો બધો સમય લેતા હોય છે અથવા તો સમસ્યાનો ઉકેલ જ નથી આવતો. લોકોએ ધરમધક્કા ખાવાનો વારો આવતો હોય છે. ત્યારે લોકો ઘર બેઠા જ પોતાની સમસ્યા કહી શકે તેવું આયોજન રાજ્યમાં સૌ પ્રથમ વાર સુરત મનપા દ્વારા કરવામાં આવ્યું છે.

મનપાના મેયર હેમાલી બોઘાવાલાએ ડેસ્ક બોર્ડ શરૂ કર્યું છે. જેમાં સુરતના તમામ નાગરિક પોતાના વિસ્તારની કે પોતાની સમસ્યા સીધી ઓનલાઈન મેયરને કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યુ છે. એક મહિના દરમિયાન સ્ટ્રીટ લાઈટ, પાણીનો ભરાવો, મિલકત વેરો, ડ્રેનેજ સહિતની સમસ્યાઓ લોકોએ કરી છે. એક મહિનામાં નાની મોટી હજ્જારો ફરિયાદ મેળવી છે. મોટાભાગની ફરિયાદનો નિકાલ થઈ ચૂક્યો છે. જે ફરિયાદ મળે એટલે તુરત ત્યાંના ઝોનલ ઓફિસરને મોકલવામાં આવે છે અને ક્યાર સુધી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેનો સમય પણ લેવામાં આવે છે.

આ સમયમાં ઝોનલ ઓફિસર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામા આવે છે કે કેમ તેના પર પણ ચાંપતી નજર રાખવામાં આવે છે. જો કોઈ સમસ્યા મોટી હોય તો સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરી સમસ્યાના નિરાકરણમાં મદદરુપ થવા સૂચન કરવાંમા આવે છે. અત્યાર સુધી સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ અને પાણી ભરાવાની સમસ્યાની મળી છે. જેનો પણ તુરત નિકાલ કરી દેવામાં આવ્યો છે.

(5:18 pm IST)