Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ગુજરાતી નાટ્યશાળાના મહારથી કવિ પરમાનંદ મણિશંકર ત્રાપજકરના ૧૧ પુસ્તકોનું ત્રાપજ મુકામે યોજાશે વિમોચન

વિષ્ણુરામ ત્રિવેદીનું પુસ્તક ‘શિહોરની નોંધોમાં નાનાસાહેબ પેશ્વા’ તથા હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લ આલેખિત પુસ્તક ‘માનસમર્મ’નું વિમોચન પૂ. મોરારિબાપુના વરદ્ હસ્તે થશે

અમદાવાદ :રવિવારના રોજ સવારે ૯.00 કલાકે, ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ગુજરાતી નાટ્યશાળાના મહારથી કવિ ત્રાપજકરના ૧૧ પુસ્તકોનું વિમોચન ત્રાપજ મુકામે યોજાશે. જૂની રંગભૂમિના સુપ્રસિદ્ધ નાટ્યકાર – ગીતકાર પરમાનંદ મણિશંકર ત્રાપજકરના અપ્રાપ્ય પુસ્તકોના સમગ્ર સાહિત્યનું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશન થયું છે. આ પ્રસંગે વિષ્ણુરામ ત્રિવેદીનું પુસ્તક ‘શિહોરની નોંધોમાં નાનાસાહેબ પેશ્વા’ તથા હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લ આલેખિત પુસ્તક ‘માનસમર્મ’નું વિમોચન પૂ. મોરારિબાપુના વરદ્ હસ્તે થશે.

આ કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરશે. મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ અને શરદભાઈ ત્રાપજકર પ્રતિભાવ આપશે. મહેશભાઈ ગઢવી અને અન્ય કલાકારો કવિ ત્રાપજકરની રચનાઓનું ગાન કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિશ્રી હરદ્વાર ગોસ્વામી કરશે. પોતાના જ ગામના કવિ ત્રાપજકરની વંદના સમસ્ત ત્રાપજ ગામ દ્વારા કરાશે. સાહિત્યરસિકોને જાહેર નિમંત્રણ છે.

(12:58 am IST)