Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજ્યમાં જોખમી કચરાના નિકાલનું રિયલ ટાઇમ ટ્રેકીંગ કરાશે : GPCBએ વિકસિત કરી સિસ્ટમ

મેનીફેસ્ટ સિસ્ટમને VLTS સિસ્ટમ સાથે સાંકળીને જોખમી કચરાનું પરિવહન કરતા વાહનોને ટ્રેક કરવામાં આવશે.

અમદાવાદ :  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ દ્વારા 5 જૂન પર્યાવરણ દિવસે વેહિકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી. ઔદ્યોગિક એકમોના જોખમી કચરાના કારણે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે આ પ્રકારના કચરાના નિકાલ માટે અત્યાર સુધી ઔદ્યોગિક એકમો દ્વારા મેનીફેસ્ટ જનરેટ કરવામાં આવી રહી હતી અને તેના થકી જ જોખમી કચરાનો નિકાલ કરવામાં આવતો હતો પરંતુ હવે તે મેનીફેસ્ટ સિસ્ટમને VLTS સિસ્ટમ સાથે સાંકળીને જોખમી કચરાનું પરિવહન કરતા વાહનોને ટ્રેક કરવામાં આવશે. જેના માટે ઔદ્યોગીક એકમોના ટેન્કર-ટ્રકમાં જીપીએસ સિસ્ટમ ફરજીયાત કરવામાં આવી છે. અત્યારે 700 ટ્રક પર આ AIS 140 Compliant GPS સિસ્ટમ લગાવવામાં આવી છે. તેમાથી શરુઆતના તબક્કે  377 ટ્રકનું રિયલ ટાઇમ મોનિટરીંગ શરુ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તમામ વાહનોનું ટ્રેકિંગ VLTS સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. અત્યારે દૈનિક 600 ટ્રક જોખમી કચરાનો નિકાલ કરે છે.

GPCB દ્વારા NIC ગાંધીનગર અને ઉત્તરાખંડની મદદથી Vehicle Location Tracking System (VLTS)નું મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યુ છે. જેનું હાલની Online Manifest System સાથે સંકલન કરવામાં આવી રહ્યુ છે. VLTS અંર્તગત બોર્ડ દ્વારા જોખમી કચરાનું પરિવહન કરતા ઉદ્યોગોને તમામ વાહનોમાં AIS 140 ગ્લોબલ પોજીશનિંગ સીસ્ટમ (GPS) લગાવવાનું ફરજીયાત કરવામાં આવ્યુ છે. આ સિસ્ટમ અંર્તગત બોર્ડ દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં જોખમી કચરાનું પરિવહન કરતા વાહનોનું ઉત્પાદનથી છેવટના નિકાલ કરતી ફેસીલીટી સુધી ટ્રેકીંગ કરવામાં આવશે. હવે પર્યાવરણ માટે જોખમી કચરાનું પરિવહન કરવા માટે ઉદ્યોગો દ્વારા નિકાલ સુધીનો રૂટ અગાઉથીજ નક્કી કરવાનો રહેશે. અને જો વાહન રૂટ બદલશે અથવા બીજી જ્ગ્યાએ જશે તો સીસ્ટમમાંથી એલર્ટ મળશે અને તેનાથી ગેરકાયદેસર નિકાલ કરનારા એકમો સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકાશે.

VLTS સિસ્ટમથી જોખમી કચરાનો નિકાલ કરનાર ઔદ્યોગિક એકમોથી છેવટના નિકાલ કે પુન: વપરાશ કરતી ફેસીલીટી સુધીનું ટ્રેકીંગ કરી શકાશે, જેનાથી જોખમી કચરાનું વ્યવસ્થાપન વધુ સુદ્દ્ઢ અને સક્ષમ બનશે. VLTSના અમલીકરણ માટે દરેક પ્રદેશમાં જાગૃતિ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યા હતા. ગુજરાતમાં અત્યારે 21,341 ઉદ્યોગોમાં જોખમી કચરો ઉત્પન્ન થાય છે જેમાંથી અલગ અલગ કેટેગરી પ્રમાણે તેને વિભાજીત કરીને તેનો નાશ કરવામાં આવે છે. નવી પ્રણાલીના ઉપયોગ અંગે ઉદ્યોગોને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

(10:01 pm IST)