Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

હવે મુંબઈવાસીઓ માણશે ગુજરાતના શ્રીખંડ, મઠો અને દૂધનો સ્વાદ:દૂધધારા ડેરી હવે મુંબઈમાં શ્વેતક્રાંતિ કરશે

ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા મળી

ભરૂચ: મુંબઈવાસીઓ હવે ભરૂચની દૂધધારા ડેરીનું દૂધ પીશે. ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભામાં ભાજપ અધ્યક્ષ CR પાટીલે રૂપિયા 70 કરોડનો મુંબઈ દૂધ પ્લાન્ટ, ₹5 કરોડનો શ્રીખંડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક મંડળી દૂધધારા ડેરી હવે મુંબઈમાં શ્વેતક્રાંતિ કરવા જઈ રહી છે. ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા સોમવારે સવારે મળી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સભામાં દૂધધારા ડેરીના ₹70 કરોડના મુંબઈ દૂધ પ્લાન્ટ, ₹5 કરોડના શ્રીખંડ પ્લાન્ટનું ભૂમિપૂજન અને ₹2 કરોડના 500 કે.વી. સોલર પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું.

 

દૂધધારા ડેરીની સભામાં ચેરેમન ઘનશ્યામ પટેલે બન્ને જિલ્લાના 62 હજાર સભાસડોને 21 જુનથી દુધના ખરીદ ભાવ ₹725 થી વધારીને ₹735 કરવાની જાહેરાત કરી દૂધ ઉત્પાદકોને ભેટ ધરી હતી. ડેરીનો સોલાર પ્લાન્ટ કાર્યરત થતા રોજની 20 % વીજ બીલમાં બચત થશે. ડેરી આગામી સમયમાં પણ સુવિધા સવલતો વધારવા સાથે દૂધ ઉત્પાદનમાં ઉન્નતિ કરતી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. 

આ પ્રસંગે દૂધધારા ડેરી, ધારીખેડા સુગર ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, વિધાનસભા દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, પૂર્વમંત્રી ખુમાનસિંહ વાસિયા, નિશાંત મોદી સહિત ડિરેક્ટરો, સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:56 am IST)