Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રેલ્વે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરાશે: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૧૮મી જૂને "પોષણ સુધા યોજના"નો રાજ્યના તમામ આદિજાતિ વિસ્તાર જિલ્લાઓમાં વ્યાપ વધારાશે: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવા આગામી તા.૧ થી ૧૫ જુલાઇ- ૨૦૨૨ દરમિયાન સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન: રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ૪૬ ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારમાં વિવિધ વિકાસ કામો હાથ ધરી શકે તે માટે રૂ. બે કરોડની ગ્રાંટ ફાળવવાનો નિર્ણય: આગામી તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે દરેક ગામ, તાલુકા, શહેર,શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ સહિત જનભાગીદારીથી ૧.૨૫ કરોડથી વધુ નાગરિકો યોગ કરશે: આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ગુજરાતમાં ધાર્મિક, ઐતિહાસિક, શૈક્ષણિક, પ્રવાસન સહિત ૭૫ આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૧૭ અને ૧૮ જૂને બે દિવસના ગુજરાત પ્રવાસે : તા.૧૮ જૂને પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી વિરાસત વનની મુલાકાત કરશે: વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તા.૧૮ જૂને બપોરે ૧૨:૩૦ કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે: ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ૧૪ પાકમાં ગત વર્ષ કરતા ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.૯૨ થી ૫૨૩ સુધીનો વધારો: : જીતુભાઇ વાઘાણી

ગાંધીનગર: પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના હસ્તે ગુજરાતને મળનાર ભેટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી દ્વારા રેલવે વિભાગ હસ્તકના ગુજરાતના રૂ.૧૬,૩૬૯ કરોડના વિવિધ ૧૮ પ્રકલ્પોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં પાલનપુર-માદર ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ અમદાવાદ - બોટાદ પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. તે ઉપરાંત સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનના રીડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત તથા ગેજ કંવર્જેશન સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના ગરીબ અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રી દ્વારા ૮૯૦૭ આવાસોના લાભો લાભાર્થીઓને આપવામાં આવશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે, આગામી તા.૧૭ અને ૧૮ જૂન-૨૦૨૨ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસે આવનાર છે. વડાપ્રધાનશ્રી તા.૧૭ મી જુને રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. તા.૧૮મી જૂન, શનિવારના રોજ સવારે ૯.૧૫ કલાકે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરીને ત્યાર બાદ ૧૧.૩૦ કલાકે વિરાસત વન(પાવાગઢ નજીક)ની મુલાકાત લેશે. વડાપ્રધાનશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨:૩૦ કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાનશ્રી આ કાર્યક્રમમાં "પોષણ સુધા યોજના"નુ વિસ્તરણ કરશે તેની વિસ્તૃત માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખૂબ મહત્વપૂર્ણ છે. આ અવસ્થા દરમિયાન માતાના ગર્ભમાં રહેલા શિશુને અને બાળકને સ્તનપાન કરાવવા માટે વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. માતાની આ જરૂરિયાતને પહોંચી વળવા રાજય સરકારે પ્રાયોગિક ધોરણે વર્ષ ૨૦૧૭-૧૮ માં "પોષણ સુધા યોજના" શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. આ સાથે આર્યન, કેલ્શિયમની ગોળી તથા આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવે છે. પ્રાયોગિક ધોરણે હાલ રાજ્યના આદિજાતી વિસ્તારમાં દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા એમ પાંચ જિલ્લાના ૧૦ ICDS  ઘટકમાં સ્પોટ ફીડિંગ કાર્યક્રમ ચાલુ છે. આ યોજનાના સારા પરિણામો મળતા વર્ષ-૨૦૨૨-૨૩થી તેનો વ્યાપ વધારીને તમામ બાકી રહેલા આદિજાતિ વિસ્તાર જિલ્લાઓના આદિજાતિ ઘટકોમાં અમલીકરણ કરવામાં આવશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આ યોજના માટે વર્ષ-૨૦૨૨-૨૩માં રૂ.૧૧૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત અંદાજીત સવા લાખ લાભાર્થીઓને દર મહિને આવરી લેવામાં આવશે. યોજનાના અસરકારક મોનીટરીંગ અને રિવ્યૂ માટે મોબાઈલ એપ્લીકેશન પણ બનાવવામાં આવી છે. આ યોજનાના અમલીકરણ થકી ઓછું વજન સાથે જન્મ લેનાર શિશુઓના દરમાં ઘટાડો થશે. તે ઉપરાંત માતા અને નવજાતના પોષણ સ્તરમાં સુધારો થશે તેમજ માતા અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થશે.
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજાજન સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧ જુલાઇ થી ૧૫ જુલાઇ ૨૦૨૨ દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’-૨૦ વર્ષનો વિશ્વાસ -૨૦ વર્ષનો વિકાસનું આયોજન કરવામાં આવ્યુ છે.
મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં યોજાનારી આ વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ૮૦ જેટલા રથ તૈયાર કરાયા છે. આ તમામ રથ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રોજના ૧૦ ગામોમાં પરિભ્રમણ કરશે. દરેક જિલ્લાઓમાં ૧૦ ગામોનું કલસ્ટર બનાવીને રૂટ પ્લાન જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે. ૧૫ દિવસ યોજાનારી આ યાત્રામાં ઝોન મુજબ વિવિધ થીમ આધારિત કાર્યક્રમો નિયત કરવામાં આવ્યા છે. આ યાત્રા દરમિયાન વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાશે. જિલ્લા કક્ષાએ આ યાત્રાનું નેતૃત્વ મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રી સહિત પદાધિકારીઓ કરશે. જ્યારે સ્થાનિક કક્ષાએ સમગ્ર યાત્રાનુ સંકલન જિલ્લા કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ તેમના મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો હાથ ધરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. બે કરોડની ગ્રાંટ ફાળવવાનો  નિર્ણય કરાયો છે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. ૮૬ કરોડની રકમ પણ ફાળવી  દેવામાં આવી છે.
પ્રવકતા મંત્રીશ્રી જણાવ્યું હતું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિ અને આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીએ યુનાઈટેડ નેશન્સની મહાસભામાં વર્ષ ૨૦૧૪માં ૨૧મી જૂનને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" મનાવવા પ્રસ્તાવ મૂક્યો અને યુનાઈટેડ નેશન્શની મહાસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી ૨૧ મી જૂનને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ વર્ષની યોગ દિવસની થીમ "માનવતા માટે યોગ (Yoga for Humanity)" નક્કી કરવામાં આવ્યું છે.
છેલ્લા બે વર્ષની કોવિડ મહામારી બાદ સમગ્ર દેશમાં વિશાળ જનભાગીદારી સાથે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આ વર્ષે નક્કી કરાયું છે. ગુજરાત પણ દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, મહાનગપાલિકા, મહાનગપાલિકાના દરેક વોર્ડ, સાથો સાથ દરેક શાળા, કોલેજો, યુનિવર્સિટી, આઈ.ટી.આઈ., તમામ આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડક્વાર્ટર, પોલીસ સ્ટેશનો, જેલ અને શક્ય તેટલા જાહેર સ્થળોએ અંદાજે ૧.૨૫ કરોડ સવા કરોડથી વધુની જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. હાલ દેશમાં આઝાદીનો અમ્રુત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેના ભાગરૂપે રાજયમાં ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક સ્થળો, શૈક્ષણિક તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતાં ૭૫ આઈકોનીક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. તા.૨૧ મી જૂન, ૨૦૨૨ના રોજ સવારે ૬:૦૦ કલાકે આયોજીત "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ના કાર્યક્રમમાં જોડાઈને જનભાગીદારી થકી આ વખતના કાર્યક્રમની થીમ "માનવતા માટે યોગ"ને સાર્થક કરવા મંત્રીશ્રી વાઘાણીએ રાજ્યના પ્રજાજનોને અનુરોધ કર્યો હતો.    
મંત્રીશ્રીએ જણાવ્યુ છે કે, ગુજરાતના ખેડૂતો દ્વારા ખરીફ ઋતુ ૨૦૨૨-૨૩ના મુખ્ય ૧૪ પાકોની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેના ભાવો માટે ખેડૂતો દ્બારા વારંવાર ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા. જેના ભાગ રૂપે ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ના ખરીફ પાકના ટેકાના ભાવ ખરીફ ઋતુની વાવણી પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો ની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલ વધારો અને તેની સમયસર જાહેરાત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રાજયના ખેડૂતો વતી આભાર વ્યકત કર્યો છે.
મંત્રી શ્રી એ ઉમેર્યુ કે, ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવા માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકા થી  ૮૫ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતો ની આવક બમણી થાય તે માટે જુદા જુદા પાકમાં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂ.૯૨ થી ૫૨૩ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પાક મગફળી માં પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૫૮૫૦ , તુવેર પાકમાં રૂ.૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૬૬૦૦, મગ પાકમાં રૂ.૪૮૦નો વધારો કરી ટેકાનો ભાવ ૭૭૫૫, તલ પાકમાં રૂ.૫૨૩નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૭૮૩૦, અડદ પાકમા રૂ.૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૬૬૦૦, કપાસ પાકમાં રૂ.૩૫૫નો વધારો કરી રૂ.૬૩૮૦ ટેકાના ભાવ જાહેર કર્યા છે.

(5:41 pm IST)