Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાહુલ ગાંધીને ઇડીએ પાઠવેલા સમન્‍સને લઇ અમદાવાદમાં જીએમડીસી ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કોંગ્રેસ કાર્યાલયથી ઇડી ઓફિસ સાથે કોંગ્રેસી કાર્યકરોએ રેલી કાઢતા આગેવાનોની અટકાયત કરતી પોલીસ

અમદાવાદઃ રાહુલ ગાંધી પર નેશનલ હેરાલ્‍ડ કેસમાં ઇડીએ પાઠવેલા સન્‍માનને લઇને અમદાવાદમાં કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓએ જીએમડીસી ખાતે વિરોધ પ્રદર્શન કર્યુ છે. કોંગ્રેસ કાર્યાલયથી ઇડી ઓફિસ સુધી પ્રચંડ વિરોધ સાથે રેલી કાઢતા પોલીસે ઘણા કાર્યકરોની અટકાયત કરી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ આજે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી સમક્ષ હાજર થયા છે. ઈડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બજાવેલા સમન વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકરો તેમના સમર્થનમાં ઉતરી પડ્યા છે અને સમનનો વિરોધ કરી રહ્યા છે. આજે દેશભરમાં ઈડી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ ઉપરાંત દેશભરમાં પણ ઈડી ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન યોજાયા છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. GMDC ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થયા હતા, ત્યારે પોલીસે કેટલાંક પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. બીજી બાજુ ભીડમાં ધક્કામૂક્કીના દ્રશ્યો પણ સર્જાયા છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરીને વાનમાં બેસાડી દીધા છે.

અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસનું ઈડી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલું છે. રાહુલ ગાંધીને EDએ પાઠવેલા સમન્સનો ગુજરાત કોંગ્રેસ જોરદાર વિરોધ કરી રહ્યો છે. શહેરના GMDC હોલ ખાતે કાર્યકરો એકઠા થઈનો વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. GMDC હોલથી ED ઓફિસ સુધી કોંગ્રેસની રેલી કાઢી છે. જાણવા મળી રહ્યું છે કે, જ્યાં સુધી રાહુલ ગાંધીની પૂછપરછ થશે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલું રહેશે. રાહુલ ગાંધીને EDના સમન્સના વિરોધમાં અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનમાં મંજૂરી વગર કોંગ્રેસ કાર્યાલયથી ED ઓફીસ સુધી રેલી કાઢતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ હુરિયો બોલાવી રહ્યા છે, તો કેટલાંક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

- અમિત ચાવડા, પરેશ ધાનાણી અને મનીષ દોશીની પોલીસે અટકાયત કરી લીધી છે.

- વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરની તબિયત લથડી

- પ્રતાપ દૂધાત, સુખરામ રાઠવાની પોલીસે અટકાયત કરી

- કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર મહિલા આગેવાનના ખોળામાં ઢળી પડ્યા

મનીષ દોશીનું નિવેદન

મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જે રીતે કેન્દ્રની સરકાર જનતાનો અવાજ બનેલા રાહુલ ગાંધીને એનકેન પ્રકારે હેરાન કરવાના કાવતરા કર્યા એની સામે EDના સમન્સ આપવાની ઘટનામાં સમગ્ર દેશમાં, દેશના તમામ પ્રદેશોમાં કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા છે. રાહુલનો આ સત્યાગ્રહ દેશની જનતા માટેનો છે. કોંગ્રેસ માટે વાત કરવામાં આવી રહી છે કે નેશનલ હેરાલ્ડ કેસ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં એક પણ રૂપિયાની લેતીદેતી નથી. મની લોન્ડ્રિંગના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે. એનો મતલબ સ્પષ્ટ છે કે આ દેશની અંદર લોકશાહીનો ખોટો ઉપયોગ કરીને રાહુલજીના અવાજને રોકવાની કોશિશ થઈ રહી છે, પરંતુ આ નિષ્ફળ કોશિશ છે.

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં રાહુલને સમન્સ પાઠવ્યું તેની સામે કાર્યકર્તાઓ આક્રોશમાં આવીને વિરોધ નોંધાવી રહ્યા છે. અમારા કોઈ કાર્યકર્તા કે નેતા પર કિન્નાખોરી રાખીને ભાજપ ડરાવવાની કે ધમકાવાની અને જેલમાં મોકલવાની વાતો કરશે તો એનો મક્કમ પણે મુકાબલો કરીશું, લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર આપ્યા છે અને આ અધિકારોના રક્ષણ કરવાની જવાબદારી અમારી છે. અમે વિપક્ષમાં બેઠા છીએ. પ્રજાનો અવાજ બનીશું, એટલું જ નહીં બોલવાની અને લડવાની જવાબદારી અમારી છે. તે અવાજને જ્યારે જ્યારે ભાજપ દબાવશે ત્યારે જંગે એલાન કોંગ્રેસ કરશે અને લડશે.

તેમણે જણાવ્યું હતું કે, આ કેસમાં કઈ ન્યાયિક પ્રક્રિયા છે અને કયો કાયદો? ગમે ત્યારે કાયદો બદલી નાંખે, ધારે ત્યારે મીડિયા પર રેડ પાડે, ધારે ત્યારે ભાજપ સામે કોઈ બોલે એને જેલમાં નાંખે? ભાજપ સામે બોલે એને લાકડીઓ મારે, ભાજપ સામે બોલનારનો અવાજ દબાવી દે, આ નીતિ છે ભાજપની... તમે જોઈ રહ્યા છે કે હાલ ચારેબાજુ રોડ પર ચક્કાજામ થઈ રહ્યો છે.

પુંજાભાઈ વંશનું નિવેદન

પુંજાભાઈ વંશ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપ સરકાર વહીવટી રીતે નિષ્ફળ રહ્યું છે. 2022 વિધાનસભા ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીને કેમ સમન્સ પાઠવ્યું? 8 વર્ષ પૂર્ણ થયા બાદ પણ કોંગ્રેસના એકપણ નેતાને જેલમાં નથી નાખી શક્યા. પરંતુ હવે જ્યારે ચૂંટણીના 6 મહિના જ બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધી સમય ના આપી શકે અને માનસિક રીતે થાકે એ માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. ભાજપ સરકારે 8 વર્ષમાં કોંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહી કેમ ના કરી એ જ મોટો સવાલ છે.

પરેશ ધાનાણીનું નિવેદન

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આધુનિક અંગ્રેજો આંદોલન કરવા દેવા માંગતા નથી. સરકાર ધરણા, ઉપવાસ માટે સરકાર મંજૂરી આપતી નથી. કોંગ્રેસ સરકારની જોહુકમી સામે લડતી રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના દિલ્હી સ્થિત ઘર બહાર કાર્યકરો પોસ્ટર્સ અને બેનર્સ લઈને પહોંચી ગયા છે. આ પોસ્ટર્સમાં લખ્યું છે કે યે 'રાહુલ ગાંધી હૈ ઝૂકેગા નહીં'. એક પોસ્ટરમાં લખ્યું છે કે રાહુલજી સંઘર્ષ કરો, હમ આપકે સાથ હૈ. અન્ય એક પોસ્ટરમાં રાહુલ ગાંધીના ફોટા સાથે લખ્યું છે કે સત્ય ઝૂકેગા નહીં. આ બધા વચ્ચે પોલીસે પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે. પાર્ટીના લગભગ એક ડઝન જેટલા કાર્યકરોને અટકમાં લેવાયા છે.

શું છે નેશનલ હેરાલ્ડ કેસ?

- 1938માં કોંગ્રેસે એસોસિએટેડ જર્નલ્સ કંપની બનાવી

- એસોસિએટેડ જર્નલ્સ નેશનલ હેરાલ્ડ છાપું બહાર પાડતી

- 2008માં નેશનલ હેરાલ્ડના પ્રકાશનને બંધ કરવાનો નિર્ણય લેવાયો

- 2011માં કોંગ્રેસ AJLએ 90 કરોડની દેવાદારી પોતાના પાસે લઈ લીધી

- AJLના દેવાને પુરુ પાડવા માટે યંગ ઈન્ડિયન કંપની બનાવાઈ

- યંગ ઈન્ડિયનમાં સોનિયા અને રાહુલની 38-38 ટકા ભાગીદારી

- બાકીની ભાગીદારી મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાંડીસની પાસે

- ટેક્સ, સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવ્યા વગર યંગ ઈન્ડિયનનું અધિગ્રહણ કરવાનો આરોપ

(5:31 pm IST)