Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કોરોના પછી હોસ્પિટલો માંથી કેરળની નર્સો નોકરી છોડીને જતી રહી

કેરળમાં લઘુત્તમ ભથ્થું ૨૨,૦૦૦ રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું : નર્સોનું આ પ્રકારે જવાનું ચાલુ રહેશે તો હોસ્પિટલોએ ભારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે

અમદાવાદ, તા.૧૩: જો કોર્પોરેટ સંચાલિત હોસ્પિટલોની વાત કરવામાં આવે તો અહીં સ્ટાફની ૫૦ ટકા અથવા તેનાથી પણ વધારે નર્સો જેમને આપણે 'સિસ્ટર' પણ કહેતા હોઈએ છીએ તે કેરળની હોય છે. પરંતુ કોરોના મહામારી પછી માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં અનુભવી નર્સોની માંગ વધવાને કારણે, અમદાવાદ અને સાથે સાથે ગુજરાતની હેલ્થકેર સિસ્ટમમાંથી મોટી સ્ખ્યામાં આ નર્સોનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા એક વર્ષમાં ઓછામાં ઓછી ૧૦૦૦ નર્સો અહીંથી કામ છોડીને જતી રહી છે.

આટલુ જ નહીં, આ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે, અત્યારે દેશભરમાં કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. આવી સ્થિતિમાં જો નર્સોનું આ પ્રકારે જવાનું ચાલુ રહેશે તો હોસ્પિટલોએ ભારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અમુક મોટી હોસ્પિટલોમાં નર્સોના પલાયનનો દર ૫ ટકા જેટલો નોંધાયો છે.

શેલબી ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સના મુખ્ય હ્યુમન રિસોર્સ ઓફિસર બાબુ થોમસ જણાવે છે કે, કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાં કેરળની લગભગ ૨૦૦ નર્સો કાર્યરત હતી, જેમાંથી હવે માત્ર ૬૦-૭૦ જ સ્ટાફનો ભાગ છે. અહીંની નોકરી છોડવાનું એક મુખ્ય કારણ એ પણ છે કે કેરળમાં લઘુત્તમ ભથ્થું ૨૨,૦૦૦ રુપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું છે. કોરોના મહામારીમાં આટલી માંગ હતી તેમ છતાં ગુજરાતમાં નર્સોનો શરુઆતનો પગાર ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ સુધીનો હતો. આ સિવાય વધારાના કોઈ ભથ્થા પણ તેમને નહોતા મળતા.

ર્સ્ટલિંગ હોસ્પિટલના વીપી નમિષા ગાંધી જણાવે છે કે, વિદેશમાં વધતી માંગ એ મહત્વનું પરિબળ છે. ખાસકરીને એવો સ્ટાફ જે અન્ય રાજ્યોમાંથી અહીં કામ કરવા માટે આવ્યો હતો, તે મહામારીની આ સ્થિતિમાં પોતાના અનુભવનો ઉપયોગ કરીને કમાણીની તક કેમ ચૂકે? જો સ્કિલ્ડ નર્સોની વાત કરીએ તો, ખાડી દેશોમાં ઘણી માંગ વધી છે. પાછલા એક વર્ષમાં અમે એવા ઘણાં કર્મચારીઓ જોયા જે વિદેશ જવા માટે નોકરી છોડીને જતા રહ્યા.

અહમદાબાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન(ખ્ણ્ફખ્)ના અધ્યક્ષ ડોકટર ભરત ગઢવી જણાવે છે કે, અમદાવાદની ઘણી હોસ્પિટલોમાં સ્ટાફની તંગી એ મહત્વનો અને ચિંતાજનક મુદ્દો છે. ઘણી હોસ્પિટલોમાં કોરોના પછી સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો જ્યારે ઘણી નવી હોસ્પિટલો પણ શરુ થઈ, જેના કારણે નર્સોને વધુ સારી નોકરીના વિકલ્પો પણ મળ્યા. હોસ્પિટલમાં કેરળથી આવેલી નર્સો પોતાના અનુભવ અને કુશળતાને કારણે એક મજબૂત સિસ્ટમ ઉભી થતી હોય છે. કોરોના મહામારી દરમિયાન તેમના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો પરંતુ હવે જ્યારે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ લગભગ ના સમાન થઈ ગયા છે ત્યારે તે બંધ કરી દેવામાં આવ્યા છે. માટે ઘણો સ્ટાફ જતો રહ્યો છે. અમે એક જોબ પોર્ટલ પણ લોન્ચ કર્યું છે, કારણકે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે અમને મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

અપોલો હોસ્પિટલ્સ ગાંધીનગરના સીઓઓ નીરજ લાલ જણાવે છે કે, વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં હેલ્થકેર સેકટરમાં ૨૦ ટકા વધારો જોવા મળ્યો છે. અમે ભથ્થાને લગતા વર્તમાન ટ્રેન્ડ સાથે તાલમેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ તેમ છતાં હરિફાઈ ઘણી વધારે છે.

(11:54 am IST)