Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સુરતમાં 11 વીવર્સ પાસેથી દલાલ મારફતે 35.62 લાખનું કાપડ ખરીદી છેતરપિંડી આચરનાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:સલાબતપુરા મહારાજ ટોકીઝ મહારાજ ચેમ્બર્સમાં દુકાન ધરાવતા વેપારીએ ૧૧ વિવર્સ પાસેથી દલાલ મારફતે રૃ. ૩૫.૬૨ લાખનું ગ્રે કાપડ ખરીદી બાદમાં પેમેન્ટ કર્યુ ન હતું અને દુકાન-ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પરવત ગામ વિનાયક ફલેટ બી-૨૦૨ માં રહેતા નિતીનભાઈ રમણભાઈ પટેલ ઉધના મગદલ્લા રોડ ઉમા ઈન્ડસ્ટ્રીઝ ખાતા નં. ૧૯૫-૧૯૬ માં લુમ્સનું કારખાનું ધરાવે છે.

છ માસ અગાઉ મિત્ર સાહિલ પટેલ સાથે તે પેમેન્ટ લેવા સલાબતપુરા મહારાજા ટોકીઝ મહારાજા ચેમ્બર્સ દુકાન નં. ૫ માં કાપડનો વેપાર કરતા જીતેન્દ્ર તખતમલ જૈનને ત્યાં ગયા હતા અને ઓળખાણ થઈ હતી.

મહારાજ ટોકીઝ પાસે મહાત્મા વાડીમાં રહેતા તખતમલ જૈને પોતાનો મોટા પાયે ધંધો છે અને વિવર્સને સમયસર પેમેન્ટ આપું છું તેમ કહેતાં નિતીનભાઈએ તેને ઉધારમાં ગ્રે કાપડ આપવા માંડયું હતું. નિતીનભાઈ ગ્રે કાપડ મોકલતા તે જીતેન્દ્રભાઈને ત્યાં કામ કરતો ફરહાન પાટણવાલા રીસીવ કરતો હતો.

નિતીનભાઈએ પાકતી મુદ્દતે જ્યારે પેમેન્ટ પેટે રૃ. ૫,૧૨,૦૩૩ ની માંગણી કરી ત્યારે જીતેન્દ્રભાઈએ ચેકો આપ્યા હતા પરંતુ તે રીટર્ન થયા હતા. બાકી પેમેન્ટના વાયદા કરી અચાનક જીતેન્દ્રભાઈએ તેમની દુકાન અને ગોડાઉન બંધ કરી ભાગી છૂટયા હતા.

બાદમાં નિતીનભાઈને જાણ થઈ હતી કે જીતેન્દ્રભાઈએ દલાલ વિનોદ પ્રભુદાસ પટેલ ઉર્ફે પ્રકાશભાઈ ઉર્ફે પકો (રહે.૫, સોમાકાનજીની વાડી, પટેલવાડી, ખટોદરા, સુરત) મારફતે બીજા ૧૦ વિવર્સ પાસેથી પણ કુલ રૃ. ૩૦,૩૯,૮૭૦ નું ગ્રે કાપડ ખરીદયું હતું અને પેમેન્ટ ચૂકવ્યા વિના ફરાર થઈ ગયો હતો.

કુલ ૧૧ વિવર્સ સાથે રૃ. ૩૫,૬૧,૯૫૩ ની ઠગાઈ કરનાર વેપારી જીતેન્દ્ર જૈન, તેના કર્મચારી ફરહાન પાટણવાલા અને દલાલ વિનોદ પટેલ વિરુધ્ધ નિતીનભાઈએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પીએસઆઈ સી.એફ.ઠાકોર કરી રહ્યાં છે.

(6:40 pm IST)