Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ભરોડામાં સગા સાળાની હત્યા કરનાર બનેવી રિમાન્ડ ઉપર

અમદાવાદઃ ભરોડા ગામના ચકચાર હત્યા કેસમાં પોલીસે હત્યા કરનારાના રિમાન્‍ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે.

ભરોડા ગામે રહેતા અનિકેત પટેલને વિદેશ જવાનું હોય તેના પિતાએ મહિના પહેલાં જ અઢી વીઘા જમીન વેચી હતી જેના આવેલા ૯ લાખ રૂપિયા સદાનાપુરા રેલવે સ્ટેશન પાસે રહેતા જમાઈ મિનેષકુમાર પટેલને સપ્તાહ પહેલા જ સાચવવા આપ્યા હતા. દરમ્યાન અનિકેતને વિઝાના પૈસા આપવાના હોવાથી બનેવી પાસેથી લઈને આણંદ આપવા માટે તે ગત ૬ઠ્ઠી તારીખના રોજ ભરોડા ખાતે પડેલું બનેવીનું એક્ટીવા લઈને સદાનાપુરા આવ્યો હતો જ્યાં બનેવીને કહ્યું હતુ કે, પેલા પૈસા લઈ લો, વિઝાના પૈસા આપવા માટે આણંદ જવાનું છે. જેથી મિનેષકુમારે પૈસા આપવા ના પડે તે માટે સાળાની હત્યાની પ્લાન બનાવ્યો હતો અને પહેલા ખેતરે આંટો મારીને જઈએ તેમ જણાવીને સાળા અનિકેતને એક્ટીવા પર બેસાડીને અજ્જુપુરા સીમમાં આવેલા ખેતરમાં લઈ ગયો હતો.

અનિકેત નહેર નજીક મોબાઈલ મચેડતો હતો ત્યારે પાછળથી એકદમ જ ધારીયું લઈને આવી ચઢેલા બનેવીએ જોરદાર ઝટકો મારી દેતાં અનિકેતનું ગળુ જ કપાઈ જવા પામ્યું હતુ. ત્યારબાદ લાશને નહેરમા નાંખી દીધી હતી. પોલીસે ગઈકાલે તેની ધરપકડ કરીને આજે આ હત્યાકાંડમાં બીજા કોઈ સંડોવાયા છે કે કેમ, માથુ ક્યાં નાંખ્યું છે, પૈસાનું શું કર્યું જેવી બાબતોની તપાસ માટે રીમાન્ડની માંગણી કરતાં કોર્ટે ૧૪મી તારીખ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા. દરમ્યાન આજે પોલીસે ફાયરબ્રિગેડની મદદથી જે સ્થળે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યાં અને તેની આસપાસ તપાસ કરવામાં આવી હતી જેમાં ધારીયુ મળી આવ્યુ હતુ. દરમ્યાન વહેલી સવારથી જ નહેરમાં પાણીનો પ્રવાહ ઓછો કરાવી દઈને તપાસ હાથ ઘરી હતી જેમાં સાંજના સુમારે સામરખા નજીક આવેલા ઈન્દિરાનગરી પાસેના આડબંધ પાસેથી માથુ પણ મળી આવ્યું હતુ. જેને ફાયરબ્રિગેડે બહાર કાઢીને પીએમ માટે મોકલી આપ્યું હતુ.

સગા સાળાની ધારીયાના ઝાટકે ગળુ કાપીને હત્યા કરી નાંખનાર બનેવી દ્વારા સસરાએ સાચવવા આપેલા ૯ લાખ પૈકી બે લાખ વપરાઈ જતાં તેમજ બાકીના પૈસા આપવા ના પડે તે માટે સાળાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને હત્યા કરવા માટે ખાસ ધારીયું પણ બનાવડાવ્યું હતુ. પોલીસે ત્રણ દિવસના રીમાન્ડ મેળવીને કરેલી પુછપરછમાં દોઢ લાખ રૂપિયાનું તો તે બુલેટ લાવ્યો હતો. બાકીના પૈસા વપરાઈ ગયા હતા. સસરા દ્વારા પૈસાની માંગણી કરાશે તો શું જવાબ આપીશ તે મુંઝવણમાં તેણે સાળાને જ પતાવી દેવાનું નક્કી કરીને સાળો અનિકેત પાંચ લાખ રૂપિયા લઈને સામરખા ચોકડીએથી ગૂમ થયો હોવાની બનાવટી સ્ટોરી ઉભી કરી હતી.

(7:23 pm IST)