Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

અમદાવાદનો વિચિત્ર કિસ્સોઃ પતિને માતાજીનો પવન આવતા પત્નિને કાઢી મુકતા સાસરિયા

અમદાવાદઃ અત્રેના ઘાટલોડીયા વિસ્‍તારમાં રહેતા પરિવારનો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. જેમાં પતિને અવારનવાર માતાજીનો પવન આવતો હોઇ તે બાબતે સર્જાતા ઘરકંકાશના કારણે સાસરિયાઓઅે તથા પતિઅે પત્નિને ઘર છોડવા મજબૂર કરી હતી.

આ અંગે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં અમિષા પરમાર નામની પરિણીતાઅે તેના પતિ અને સાસરિયા પર વિવિધ કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. અમિષાએ તેના પતિ અને સાસરિયા વિરૂધ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલસ 498 ( અ) , 506 (1) અને 114, દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ આ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના પતિને માતાજીનો પવન લાગે છે અને તે અવારનવાર આ પ્રકારનું કૃત્ય કરે છે અને આ બાબતે પત્નીએ પતિને પુછતા તેણે પત્નીને ઘરેથી કાઢી મુકી હતી.

આ અંગેની વિગતો મુજબ અમિષા પરમારના લગ્ન મે 2007માં ખુશ્મન સોસાયટી મેમનગરમાં રહેતા અમિત પરમાર સાથે થયા હતા. જેમાં સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગભગ ત્રણ માસ સુધી સાસરીમાં બરાબર ચાલ્યું હતું પણ ત્યારબાદ તેને નાની મોટી બાબતે પરેશાન કરવામાં આવતી હતી. લગ્ન જીવન દરમિયાન અમીષાને બે સંતાનોમાં દીકરા નીલ અને દિવ્યનો જન્મ થયો હતો.

સાસરીયામાં ત્રાસ અંગે અમીષાએ તેના માતા પિતાને આ અંગે જાણ કરી હતી. જો કે થોડા સમયમાં સારૂ થઇ જશે તેમ માનીને તે સાસરિયામાં રહેતી હતી. આ દરમિયાન ગત 8મી ફેબ્રુઆરીના રોજ રાતના સમયે અમીષાના પતિ સુતા હતા તે સમયે અચાનક હાથને હવામાં હલાવા માડ્યા હતા અને માતાજીનો પવન આવ્યો છે. તેમ બોલવા લાગ્યો હતો. જો કે આ સમયે ગભરાઇ ગયેલી અમીષાએ તેના પતિનો હાથ પકડીને પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પ્રયાસ, કર્યો હતો. પણ, તે સતત આ રીતે કરતો રહેતા અમીષાએ તેના સાસુ અને અન્ય પરિવારજનોને બોલાવ્યા હતા અને અમીષાના સાસુએ અમિત પર પાણી છાંટતા તે શાંત થયો હતો.

બાદમાં શુક્રવારે સવારે ચા નાસ્તો કરતી વખતે અમીષાએ તેના પતિ અમિતને રાતના સમયે બનેલી ઘટના અંગે પુછ્યું હતુ અને આવુ શા માટે થઇ રહ્યું છે.પણ, આ બાબતે અમિત ગુસ્સે થઇ ગયો હતો અને હવે હુ મરી જ જઇશ તેમ કહી હાથની નસ કાપવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી રોષે ભરાયેલા સાસરિયાઓએ અમીષાને ધમકાવી હતી કે તારા કારણે અમિત મરી જશે. તું ઘરેથી જતી રહે અને અમિતે પણ તેને આવુ જ કહ્યું હતું. જો કે અમીષાએ આ અંગે તેના પરિવારજનોને જાણ કરીને બોલાવ્યા હતા અને છેવટે કંટાળીને તે પોતાના પિયરમાં અખબારનગર રહેવા આવી ગઇ હતી અને ઘાટલોડીયા પોલીસ મથકે નોંધાવી હતી.

(9:23 am IST)