Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

તિલકવાડા નજીક ટવેરા કાર અને બાઇક-એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત : યુવક-યુવતીના ઘટનાસ્થળે મોત

અન્ય એક યુવાન અને યુવતી ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા

નર્મદા જિલ્લાના તિલકવાડા નજીક ટવેરા કાર અને બાઇક-એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યુવાન અને એક પરિણીત યુવતીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક યુવાન અને યુવતી ઇજાગ્રસ્ત થતા એમને સારવાર હેઠળ ખસેડાયા હતા.

તિલકવાડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાજપીપળા તરફથી બાઇક નંબર જીજે એમ 9472 પર રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીમાં રેહતા મિહિરસિંહ જસવંતસિંહ કઠવાડિયા અને છત્ર વિલાસના ધરમવીરસિંહ વિક્રમ સિંહ સૂર્યવંશી તથા એક્ટિવા નંબર જીજે 22 એમ 1603 પર ઉન્નતિ અરવિંદ ભાઈ સોની અન્ય એક યુવતી સાથે આવી રહ્યા હતા.એ દરમિયાન તિલકવાડાના દેવલીયા નજીક નવાપુરા બસ સ્ટેન્ડ પાસે કે જ્યાં રોડ બની રહ્યો હોવાથી વન વે શરૂ કર્યો છે ત્યાં પુરપાટ ઝડપે આવતી જીજે 06 એચડી 8365 નંબરના ટવેરા ચાલકે એમને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે ઉન્નતિ (ઉ.વ 27) તથા ધરમવીરસિંહ વિક્રમસિંહ સૂર્યવંશી (ઉ.વ 25) નું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.તો બીજી બાજુ મિહિરસિંહ જસવંતસિંહ કઠવાડિયાને ગંભીર ઇજા ગ્રસ્ત હાલતમાં વડોદરા જ્યારે યુવતીને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંથી યુવતી કોઈને કહ્યા વિના જતી રહી છે એટલે એનું નામ પોલીસ જાણી શકી નથી.

તો બીજી મળતી માહિતી મરનાર યુવતી પરિણીત હોવાનું તથા એક છોકરો અને એક છોકરી એમ 2 સંતાન હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે મરનાર યુવાન ધરમવીરસિંહ વિક્રમસિંહ સૂર્યવંશી એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો, મહેનતુ યુવાન ધરમવીરસિંહની કમાણી પર જ એમનું ઘર ચાલી રહ્યું હતું.તિલકવાડા પોલીસે મરનાર યુવક-યુવતીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી અને મૃતદેહને એમના પરિવારજનોને સોંપણી કર્યા બાદ પરિવારજનોએ અશ્રુભીની આંખે અગ્નિ સંસ્કાર કર્યા હતા.

(7:41 pm IST)