Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

દેશવાસીઓ રાષ્‍ટ્રીય ગૌરવના પ્રતિક સમા રાષ્‍ટ્રધ્‍વજને ‘ફલેગ કોડ ઓફ ઇન્‍ડિયા, 2002'ના નિયમ અનુસાર ફરકાવી શકાશે

રાષ્‍ટ્રધ્‍વજની લંબાઇ-પહોળાઇનો ગુણોત્તર 3 બાય 2 હોવા જોઇએઃ તુટેલો, મેલો કે વિખેરાયેલો રાષ્‍ટ્રધ્‍વજ ન ફરકાવી શકાય

અમદાવાદઃ ભારતીય રાષ્‍ટ્રધ્‍વજ લોકોની આશાઓ અને અપેક્ષાઓનું પ્રતિનિધિત્‍વ કરે છે. હર ઘર તિરંગા અનુસાર રાષ્‍ટ્રધ્‍વજની ગરીમા જળવાય તે રીતે ફરકાવવો જોઇએ. કેન્‍દ્ર સરકાર દ્વારા રાષ્‍ટ્રધ્‍વજને ફરકાવવાના નિયમોમાં સુધારો કરાયો છે. જે ફલેગ કોડ ઓફ ઇન્‍ડિયા, 2002 અનુસાર તેની પહોળાઇ-લ઼બાઇનો ગુણોત્તર 3 બાય 2 મુજબ હોવો જોઇએ. તુટેલા, મેલા રાષ્‍ટ્રધ્‍વજ ન ફરકાવી શકાય.

આજે સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ ઉજવણીમાં દેશની જાહેર તથા ખાનગી સંસ્થાઓ અને સામાજિક સંગઠનો સહિત તમામ નાગરિકો ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યાં છે. દરેક નાગરિક પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવાના નિયમોમાં સુધારો કર્યો છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો ‘ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા, 2002’ની કેટલીક મુખ્ય વિશેષતાઓ અહીં રજૂ કરવામાં આવી છે.

1. ભારતીય રાષ્ટ્રધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. રાષ્ટ્રધ્વજ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સાર્વત્રિક સ્નેહ, આદર અને વફાદારી છે. તે ભારતના લોકોની ભાવનાઓ અને માનસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

2. ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવો/ઉપયોગ/પ્રદર્શન વગેરે ‘પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971’ અને ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002’ અધિનિયમ દ્વારા સંચાલિત થાય છે. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, ૨૦૦૨ની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નાગરિકોની માહિતી માટે નીચે મુજબ છે –

a. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં 30મી ડિસેમ્બર, 2021ના આદેશ દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો. જેના અનુસાર પોલિએસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજને મંજૂરી આપવામાં આવી હતી. હવે, હાથથી બનાવેલા, હાથથી વણાયેલા કે મશીનથી બનાવેલા અથવા કપાસ/પોલિએસ્ટર/ઊન/સિલ્ક ખાદીના કપડાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.

b. સાર્વજનિક, ખાનગી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થાનો સભ્ય રાષ્ટ્રધ્વજની ગરિમા અને સન્માનને અનુરૂપ તમામ દિવસો અને પ્રસંગોએ ઔપચારિક અથવા અન્યથા રાષ્ટ્રધ્વજ ફરકાવી/પ્રદર્શિત કરી શકે છે.

c. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં 19મી જુલાઈ, 2022ના આદેશ દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો અને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના ભાગ-IIના ફકરા 2.2 ની કલમ(xi) ને નીચેની કલમ દ્વારા બદલવામાં આવી હતી:

(xi)  જ્યાં ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય છે અથવા જાહેર સભ્ય (નાગરિક)ના ઘરે પ્રદર્શિત થાય છે, તેને દિવસે અને રાત્રે ફરકાવવી શકાશે.

d. રાષ્ટ્રીય ધ્વજ લંબચોરસ આકારનો હોવો જોઈએ. ધ્વજ કોઈપણ કદનો હોઈ શકે છે પરંતુ ધ્વજની લંબાઈ અને ઊંચાઈ(પહોળાઈ)નો ગુણોત્તર 3:2 હોવો જોઈએ.

e. જ્યારે પણ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવે છે, ત્યારે તે સન્માનના સ્થાન પર અને સ્પષ્ટ રીતે ફરકાવવો જોઈએ.

f. ક્ષતિગ્રસ્ત અથવા વિખરાયેલા ધ્વજને પ્રદર્શિત કરવામાં આવશે નહીં.

g. ધ્વજ એક જ માસ્ટહેડ પરથી અન્ય કોઈ ધ્વજ અથવા ધજાઓ સાથે ફરકાવવો જોઈએ નહીં.

h. ફ્લેગ કોડના ભાગ-IIIના સેક્શન IXમાં ઉલ્લેખિત મહાનુભાવો જેવા કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ વગેરે સિવાય કોઈએ પણ વાહન પર ધ્વજ લહેરાવવો જોઈએ નહીં.

i. અન્ય કોઈ ધ્વજ અથવા ધ્વજનું કાપડ રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચાઈએ અથવા બાજુમાં મૂકવું જોઈએ નહીં.

વધુ વિગતો, ‘રાષ્ટ્રીય સન્માનનું અપમાન નિવારણ અધિનિયમ, 1971’ અને ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002’ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.mha.gov.in પર ઉપલબ્ધ છે.

(5:13 pm IST)