Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

લવ જેહાદ : પ્રથમ ફરિયાદીની FIR રદ કરવા માટે માગણી

વડોદરાની મહિલાએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા : મેજિસ્ટ્રેટ સામે પણ પોતાના નિવેદનને વળગી રહેલી પીડિતાના અચાનક બદલાયેલા વલણથી અનેક સવાલ

 

અમદાવાદ , તા.૧૨ : ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન (એમેન્ડમેન્ટ) એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી ગુજરાતની પ્રથમ ફરિયાદમાં ભોગ બનેલી મહિલા તેના પતિ, સાસરિયા, કાઝી અને સાક્ષીઓ સામે નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માગણી કરતા ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. મહિલાએ કહ્યું હતું કે તેને ધર્માંતરણ કરવાની ફરજ પાડવામાં આવી નથી માટે આ તમામ વિરુદ્ધની ફરિયાદ પડતી મૂકવી જોઈએ.

આ કેસમાં વડોદરાની ૨૫ વર્ષીય ફરિયાદી હિંદુ યુવતી પોતે જ ૫ ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રથમ અરજદાર છે. જ્યારે બાકીના અન્ય આરોપીઓએ આ અરજી સાથે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે. ફરિયાદી યુવતીએ અરજીમાં કહ્યું હતું કે તેના સાસરિયાઓ દ્વારા ક્યારેય તેને પોતાનો ધર્મ છોડવા માટે દબાણ કરવામાં આવ્યું નથી. જોકે આ મામલે મહિલાના વકીલે અરજીની વધુ વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. આ અરજની સુનાવણી આગામી સપ્તાહમાં આવે તેવી શક્યતા છે.

હાઈકોર્ટમાં એફઆરઆઈ રદ કરવા માટે કરવામાં આવતી અરજીને દાખલ કરવાની સામાન્ય પ્રથા એ છે કે પીડિતના પક્ષને પ્રતિવાદી બનાવવામાં આવે છે, જે કોર્ટને કહે છે કે જો એફઆઈઆર રદ કરવામાં આવે તો તેને કોઈ સમસ્યા નથી. પરંતુ આ કિસ્સામાં, પીડિતા પોતે એફઆઈઆર રદ કરવાની માગ કરતી અરજદાર બની છે.

૧૭ જૂનના રોજ, મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે મુસ્લિમ છે પરંતુ કથિત રૂપે સૌપ્રથમ સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ સેમ માર્ટિન તરીકે આપી હતી. તેણે તેની સાથે મિત્રતા કરી અને પછી ફેબ્રુઆરીમાં લગ્ન કરી લીધા. મહિલાએ ફરિયાદ કરી હતી કે લગ્ન બાદ તેને પોતાનો ધર્મ બદલાવવાની ફરજ પાડવામાં આવી હતી. જે બાદ આ વર્ષે ૧૫ જૂનથી રાજ્યમાં અમલી બનેલા ગુજરાત ફ્રીડમ ઓફ રિલીજિયન એમેન્ડમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ પીડિતાના પતિ, તેના માતાપિતા, લગ્ન કરાવનાર કાજી અને લગ્નના બે સાક્ષીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પતિ પર ઘરેલુ હિંસા, દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્યનો આરોપ પણ નોંધવામાં આવ્યો છે.

જોકે બે અઠવાડિયા પછી પીડિતાએ ફેરવી તોળ્યું હતું અને પોતાની ફરિયાદમાંથી પીછેહઠ કરી હતી. તેમજ શપથ ગ્રહણ કરતાં કહ્યું હતું કે તેને પોતાનો ધર્મ બદલાવવાની કોઈ ફરજ પાડવામાં આવી નથી. પીડિતાએ વડોદરાની સેશન્સ કોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું અને કોર્ટને તેના પતિને જામીન આપવા વિનંતી કરી.

જો કે, આ કેસમાં લગાવવામાં આવેલા આરોપોને જોતા વડોદરા કોર્ટે ૫ જુલાઈએ સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા પીડિતાના નિવેદનને ધ્યાનમાં લઈને જેમાં પીડિતાએ કથિત રીતે પોતે મુકેલા આરોપો સાચા હોવાનું કહ્યું હતું જેથી પીડિતાના પતિને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

(7:42 pm IST)