Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

હાઈકોર્ટે કહ્યું આ 'ન્યાય' ના ગણાય

વીજળીના વાયરની ચોરીના કેસમાં ૧૨૫ વર્ષની જેલની સજા સંભળાવાઈ

ટ્રાયલ કોર્ટનો ૧૨૫ની જેલના ચુકાદા બાદ 'ચીભડાના ચોરને ફાંસીની સજા' જેવો ઘાટ સર્જાયો : સજાના આટલા બધા વર્ષ કઈ રીતે થઈ ગયા?

અમદાવાદ,તા.૧૨: ગુજરાતમાં ચીભડાના ચોરને ફાંસીની સજા જેવો દ્યાટ સર્જાયો હતો. વાયરની ચોરીમાં ટ્રાયલ કોર્ટ દ્વારા ૩ આરોપીઓને ૧૨૫ વર્ષની જેલની સજા સંભળાવી દીધી હતી. જોકે, આ સજાને જયારે હાઈકોર્ટમાં પડકારવામાં આવી ત્યારે કોર્ટે આને 'ન્યાય ન ગણાય' તેવી ટકોર કરી છે. મહત્વનું છે વાયર ચોરી સહિતના ૨૫ ગુનામાં ૫-૫ વર્ષની જેલની સજા સંભળાવી હતી. આરોપીઓએ સજાનો સમયગાળો સાંભળીને ભારે ઝાટકો લાગ્યો હતો અને તેમણે આ અંગે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ નર્મદાના સ્પેશિયલ જજ દ્વારા ત્રણ આરોપીઓને ૧૨૫ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, આ મામલે હાઈકોર્ટ સમક્ષ આરોપીઓ દ્વારા ૧૨૫ વર્ષની સજા સામે અપીલ કરવામાં આવી ત્યારે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે ટકોર કરી કે 'વીજળીના વાયરની ચોરીમાં કોઈ પણ વ્યકિતને ૧૨૫ વર્ષ જેલમાં રહેવું પડે એ કોઈ પણ રીતે ન્યાય ના ગણી શકાય.' જસ્ટિસ ઉપાધ્યાયે એવી પણ ટકોર કરી કે ૧૨૫ વર્ષની જેલની સજા પ્રત્યે ભારે આશ્ચર્ય વ્યકત કરીને કહ્યું કે, આપણે સમાજ તરીકે શું જવાબ આપીશું? આ તો ચીભડાના ચોરને ફાંસીની સજા જેવો દ્યાટ સર્જાયો છે. તેમણે આ સજાને સિસ્ટમનું ફેલ્યોર ગણાવ્યું હતું.

ટ્રાયલ કોર્ટમાં ચાલેલા કેસમાં વીજળીના તાંબાના વાયર, ટ્રાન્સફોર્મર સાથે તોડફોડની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ચાર આરોપી રાજકુમાર વિશ્વકર્મા, શ્રીકેશ રાજપૂત, અશ્વિન પટેલ અને મહેબૂબ હુસૈન સામે નોંધાયેલા ફરિયાદમાં ત્રણ આરોપીઓને ૨૫ કેસમાં ૫-૫ વર્ષની એમ કુલ ૧૨૫ વર્ષની જેલની સજા કરી હતી. જયારે કોર્ટે અશ્વિન પટેલ નિર્દોષ જાહેર કર્યો હતો. ટ્રાયલ કોર્ટના ચુકાદા બાદ હાઈકોર્ટના જસ્ટિસ ઉપાધ્યાયે આ કેસમાં થયેલી તપાસ અંગે જણાવ્યું કે, 'ટ્રાયલ કોર્ટે આરોપી નંબર ત્રણ અશ્વિન પટેલ મુદ્દે થયેલી તપાસ ખામીયુકત હોવાનું નોંધીને તેને છોડી મૂકવાનો આદેશ કરે છે, પરંતુ તપાસ દરમિયાન આરોપી નંબર ત્રણ જ બાકીના ત્રણેય આરોપીઓ સુધી પહોંચવા માટેની કડી હતી. આ પછી બાકીના ત્રણ આરોપીઓની સંડોવણી મુદ્દે થયેલી તપાસને કઈ રીતે ન્યાયી કે યોગ્ય ગણી શકાય?'

હાઈકોર્ટ દ્વારા આ ગુનામાં કરવામાં આવેલી સજાને અયોગ્ય ગણીને એ પણ નોંધ્યું કે, આ કેસમાં આરોપીઓને સાક્ષીઓના નિવેદન, કોલ ડિટેઈલ રેકોર્ડ, બાઈકના આધારે સજા કરાઈ છે. પરંતુ સાક્ષીઓનું નિવેદન એવું છે કે તેમણે આરોપીને તેમની જમીન પાસે જોયા હતા અને તે શંકાસ્પદ હતું. જયારે જે આરોપી પાસેથી ચોરીનો માલ મળ્યો તે ભંગારનો ધંધો કરે છે. કોર્ટે આગળ જણાવ્યું કે આ તમામ ફેકટર અને પુરાવાના આધારે હાઈકોર્ટે એ તારણ પર પહોંચી છે કે આરોપી વિરુદ્ઘ એવા કોઈ આધાર પુરાવા મળતા નથી કે જેનાથી તેમને દોષિત ગણી શકાય.

(11:29 am IST)