Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સાસરિયાના ત્રાસથી ગોતાની પરીણિતાએ ગળેફાંસો ખાધો

અમદાવાદમાં વધુ એક મહિલા અત્યાચારનો ભોગ બની : પરિણીતાની સાસુ પ્રેમ સંબંધ ધરાવતી હતી અને દિયર પણ પોતાના ઘરમાં મિત્રોને બોલાવીને પાર્ટી કરતો હતો

અમદાવાદ, તા.૧૨ : શહેરના ગોતા વિસ્તારમાં સાસરિયાઓના ત્રાસથી એક પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરિણીતાની સાસુ પ્રેમ સંબંધ ધરાવતી હતી અને દિયર પણ પોતાના ઘરમાં મિત્રોને બોલાવીને દારૂ અને હુક્કાની પાર્ટી કરતો અને વાસણો પરિણીતા પાસે ધોવડાવતો હતો. સાસુ અને પતિ ગર્ભમાં રહેલા બાળકનું પણ એબોર્શન કરાવવા પરિણીતાને દબાણ કરતાં હતાં. તે ઉપરાંત તેને દહેજ પેટે ૧૫ લાખ લાવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું.

ઘાટલોડિયાના કૌશિકભાઈની દીકરી પૂજાના ગોતામાં રહેતા કૃણાલ વ્યાસ સાથે ૨૦૧૫માં લગ્ન હતાં. તેમને સંતાનમાં સાડા ચાર વર્ષનો પુત્ર દેવસ્ય છે. ૧૦ જુલાઈએ સાંજે પૂજાએ સાસરીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. અંગે કૌશિકભાઈએ પૂજાના પતિ કૃણાલ, સાસુ મયૂરીબેન, દિયર યશ, મામાસસરા અજિત રાવલ, મયૂરીબેનના પ્રેમી નીલેશ પંચોલી સામે સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, પૂજાના સાસરિયાં પિયરમાંથી ૧૫ લાખ લાવવા દબાણ કરતા હતા. સાસુનો પ્રેમી ઘરે પડ્યો રહી સિગારેટ પીતો હતો. પતિ પણ કશું કામ કરતો નથી. દિયર ઘરે દારૂ-હુક્કા પાર્ટી કરતો હતો અને તેના મામા પણ દારૂ પી બીભત્સ વર્તન કરતા હતા. પૂજાના પિતાની ફરિયાદને આધારે પાંચેયની ધરપકડ કરી હોવાનું પીઆઈ જે. પી. જાડેજાએ જણાવ્યું હતું.મહિલાએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે હું પૂજા, મારા સાસરીવાળા મને બહુ ટોર્ચર કરે છે અને મારો ઘરવાળો પણ....એટલે હું સુસાઇડ કરું છું. મારા ફોનમાં બધા મેસેજ છે વાંચી લેજો. મારા છોકરાને એના નાની ના ઘરે રાખવા માગું છું. મારા છોકરાને કોઈ દિવસ અહીયા નહીં આવવા કે લાવવા માટે અરજી કરું છું તેને ફક્ત તેના પિતા મળી શકશે તે પણ મારા પિયરીયાઓની હાજરીમાં લગ્નની શરુઆતમાં બધું બરાબર ચાલ્યું હતું બાદમાં નાની નાની વાતે પૂજાને સાસુ અને તેનો પતિ શારીરિક ત્રાસ આપતા હતા. પૂજા ગર્ભવતી બની તો સાસુ અને પતિ તેને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરતાં હતાં. જેથી તે પોતાના પિયર ચાલી ગઈ હતી અને ત્યાં બાળકનો જન્મ થયો હતો.

જોકે ત્યારબાદ સાસરિયાંઓ સમાધાન કરીને તેને તેડી ગયા હતા. સાથે પૂજાના માતા-પિતાને બાહેંધરી આપી હતી કે હવે તેઓ પૂજાને હેરાન નહીં કરે. જોકે થોડા દિવસોમાં ફરી નાની નાની વાતે સાસુએ ત્રાસ આપવાનું શરું કરતાં પૂજાએ પતિને અલગ રહેવા જવા માટે આગ્રહ કર્યો હતો.

જોકે ત્યારે પૂજાને ખબર પડી કે લગ્ન પહેલાં પતિ કૃણાલે શાહીબાગ ખાતે સાધના સોસાયટીમાં આવેલું મકાન જે પોતાનું હોવાનું જણાવ્યું હતું. તે હકીકતમાં પૂજાની સાસુ મયુરીબેન સાથે અનૈતિક સંબધ ધરાવતા નિલેશ પંચોલીનું હતું. પૂજા જ્યારે સાસરે રહેતી હતી ત્યારે તેની સાસુ મયુરીબેન નિલેશને વારંવાર ઘરે બોલાવતી હતી અને અનૈતિક સંબંધ હોવાથી નિલેશભાઈ રાત્રે પૂજાની સાસુ સાથે રહેતા હતા અને પૂજાના પુત્ર સામે સિગરેટ પીતા હોવાથી તેઓને ના પાડતાં તેઓ પણ બોલાચાલી ઝઘડો કરતા હતા.

પૂજાના મામાજી કનુભાઈ પણ તેઓની સાથે રહેવા આવ્યા હતા અને બાદમાં રોજ દારૂ પીને ઘરે આવતા અને પૂજા તથા તેના પુત્ર સામે બીભત્સ વર્તન કરી કપડાં પહેરવાનું પણ ધ્યાન રાખી અવારનવાર પૂજા સાથે ઝઘડો કરતા હતા. પૂજાના દિયરને દેવું થઈ ગયું હોવાથી પૂજાના દાગીના સાસરિયાઓ વેચી આવ્યા હતા અને દિયર યસનું દેવુ પૂરું કર્યું હતું અને બાદમાં દહેજ પેટે ૧૫ લાખ રૂપિયા પણ માંગી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. ઉપરાંત યસ અવારનવાર તેના મિત્રોને બોલાવી દારુ અને હુક્કાની પાર્ટીઓ કરતો અને પૂજા પાસે વાસણો ધોવડાવી તેને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

(7:38 pm IST)