Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

નર્મદા આધારિત ઉનાળુ પાકનું વાવેતર ન કરવા માટેનું સૂચન

ખેડૂતોને રાજ્યસરકાર દ્વારા અપીલ કરાઈઃ મધ્યપ્રદેશમાં ઓછા વરસાદના કારણે નર્મદા યોજનામાં જળસંગ્રહ ઓછો થતાં ખેડૂતોને ૧૫મી માર્ચ સુધી પાણી

અમદાવાદ, તા.૧૨, ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાને કારણે નર્મદા સ્ત્રાવ વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નર્મદા સ્ત્રાવ ક્ષેત્રમાં આવેલ બંધોમાં દર વર્ષે કરતા ૪૫ ટકા ઓછો પાણીનો સંગ્રહ થયો હોઇ, ખેડૂતભાઈઓને સિંચાઈ માટે ૧૫મી માર્ચ-૨૦૧૮ સુધી પાણી પુરુ પાડવામાં આવશે ત્યારબાદ ખેડૂતભાઈઓએ ઉનાળુ પાકનું વાવેતર ન કરવા અથવા પોતાની પાસે કોઇ અન્ય સ્ત્રોત હોય તો વાવેતર કરવા નર્મદા નિગમ દ્વારા જણાવાયું છે.

નર્મદા નિગમ દ્વારા વધુમાં જણાવ્યા અનુસાર આ સાલે મર્યાદિત પાણી ઉપલબ્ધ હોઇ, નર્મદા યોજનામાં હાલ સંગ્રહ થયેલ પાણીનો ઉપયોગ રાજ્યના કરોડો નાગરિકોને પીવાનું પાણી પુરુ પાડવામાં આવતું હોઇ, આ નિર્ણય કરાયો છે. સરદાર સરોવર બંધના પાણીનો ઉપયોગ નર્મદા કમાન્ડ વિસ્તામરાં ચોમાસુ, શિયાળું પાક માટે પુરુ પાડવામાં આવે છે. આ વર્ષે નર્મદા સ્ત્રાવ ક્ષેત્રમાં આવેલ બંધોમાં પાણીનો સંગ્રહ ૪૫ ટકા ઓછો હોવાને કારણે નવીદિલ્હી ખાતે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ૧૦-૦૧-૨૦૧૮ના રોજ મળેલ મિટિંગમાં ગુજરાત અને મધ્યપ્રદેશના બંધોમાં પાણી ઓછું હોવાથી દરેક રાજ્યને ફળવાતુ પાણીમાં કાપ મુકવામાં આવ્યો છે જેના કારણે ગુજરાતને સામાન્ય સંજોગોમાં મળવાપાત્ર નવ મિલિયન એકર ફિટની સામે માત્ર ૪.૭૧ મિલિયન એકર ફીટ પાણી ફાળવવામાં આવ્યું છે જેને ધ્યાનમે લઇ ગુજરાતમાં પણ નર્મદાનું પાણી બચત કરવાની ફરજ પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે નર્મદા કમાન્ડ વિસ્તારમાં શિયાળું પાક માટે જે પાણી આપવામાં આવે છે તે ૧૫-૩-૨૦૧૮ સુધી આપવામાં આવશે. ત્યારબાદ નર્મદા કમાન્ડ વિસ્તારમાં નર્મદાની કેનાલમાં કે અન્ય કોઇ કમાન્ડમાં નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવામાં આવશે નહીં જેથી દરેક ખેડૂતભાઈઓને વિનંતી કે, ઉનાળુ પાકનું વાવેતર નર્મદા આધારિત કરવું નહીં જે ખેડૂતભાઈઓ પાસે અન્ય વિકલ્પો ઉપલબ્ધ હોય તો તેઓ ઉનાળુ વાવેતર કરી શકશે.

(9:28 pm IST)