Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ગુજરાતમાં પદ્માવત રજૂ નહિં થાય : આ પહેલા કરવામાં આવેલ હુકમ યથાવત રહેશે : વિજયભાઈ રૂપાણી

રાજપૂત કરણી સેના દ્વારા જનતા કરફયુનું એલાન : વિધાનસભા ચૂંટણી પહેલાં પદ્માવત ફિલ્મ પર લગાવાયેલો પ્રતિબંધ યથાવત્ રહેશે : મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા ખાતરી

અમદાવાદ,તા.૧૨ : સંજય લીલા ભણશાલીની બહુચર્ચિત અને વિવાદીત ફિલ્મ પદ્માવત તા.૨૫મી જાન્યુઆરીએ રિલીઝ થવાની અટકળો ચાલી રહી છે ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાએ ગુજરાત સહિત દેશભરમાં ફિલ્મ રિલીઝ નહી કરવા સાફ ચીમકી આપી છે અને જનતા કરફયુનું એલાન આપ્યું છે. બીજીબાજુ, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત રાજયમાં વિવાદીત પદ્માવત ફિલ્મ રિલીઝ કરવા દેવામાં નહી આવે. વિધાનસભા ચૂંટણી પહેલાં ગત નવેમ્બર માસમાં રાજય સરકાર દ્વારા આ ફિલ્મની રિલીઝ પર જે પ્રતિબંધ મૂકાયો હતો, તે યથાવત્ રહેશે. પદ્માવત ફિલ્મના રાજપૂત સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે ગુજરાત સરકારે તેનું વલણ સ્પષ્ટ કરી દેતાં શ્રી રાજપૂત કરણી સેનાને ગુજરાત પૂરતી બહુ મોટી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, દિપીકા પાદુકોણ, શાહીદ કપૂર અને રણવીરસિંહ સ્ટારર ફિલ્મ પદ્માવતી ભારે વિવાદ અને ઉહોપોહ બાદ પદ્માવત અને કેટલાક સુધારા બાદ તા.૨૫મી જાન્યુઆરીએ રિલીઝ થવાની અટકળો ચાલી રહી હતી ત્યારે આજે શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે, દેવી સમાન રાણી પદ્માવતીના ઇતિહાસ સાથે છેડછાડ કરી તેને તોડી મરોડીને આ પ્રકારે ફિલ્મ બનાવી તેના થકી આવક ઉભી કરવાનું કૃત્ય રાજપૂત સમાજ કોઇપણ સંજોગોમાં સાંખી નહી લે. રાજપૂત સમાજે અત્યારસુધી સંપૂર્ણ અનુશાસનતા વચ્ચે ફિલ્મનો વિરોધ કરી ગુજરાત સહિત દેશભરમાં તેની રિલીઝ નહી કરવા માંગણી કરી છે અને આજે પણ એ જ માંગણીનો પુનરોચ્ચાર કરે છે. શ્રી રાજપૂત કરણી સેના દ્વારા દેશની તમામ જનતાને જાહેર અપીલ કરી જનતા કરફયુનું એલાન કરવામાં આવે છે અને કોઇપણ સંજોગોમાં ફિલ્મની રિલીઝ પ્રતિબંધિત કરવા ફરી એકવાર ઉગ્ર માંગણી કરે છે. દેશના આઠ રાજયોમાં આ ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

તેમણે ઉમેર્યું કે, માત્ર નામ બદલવાથી કે તેમાં ફેરફાર કરવા માત્રથી અમર ઇતિહાસ બદલાઇ જવાનો નથી. અમે કોઇપણ રીતે ફિલ્મને રિલીઝ નહી  થવા દેવા મક્કમ છીએ.

(8:25 pm IST)