Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

છેલ્લા સાત મહિનામાં રાજયમાં 5.16 લાખ દસ્તાવેજો નોંધાયા : 3099 કરોડની આવક

કોરોનાની વૈશ્વિક મહામારીમાં રાજયમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો

 અમદાવાદ રાજયના મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં રાજયમાં દસ્તાવેજ નોંધણીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. છેલ્લાં સાત મહિનામાં 5,16,509 દસ્તાવેજોની નોંધણી થઇ છે. સ્ટેમ્પ ડયૂટી પેટે 2710 કરોડ અને નોંધણી પેટે 389 કરોડ એમ મળીને કુલ 3099 કરોડની આવક થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતુત્વ હેઠળ રાજય સરકારે લીધેલા હકારાત્મક નિર્ણયો અને મહેસુલી સેવાઓનું ડીઝીટાલાઇઝેશન કરવાના કારણે લોકડાઉન બાદ આ વધારો થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોવિડ 19 મહામારીના કારણે લાગુ થયેલા લોકડાઉન બાદ રાજયમાં 24 એપ્રિલના રોજ પ્રથમ તબક્કામાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ 98 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 11 મે 2020થી નગરપાલિકા વિસ્તારની 114 મળીને કુલ 212 સબ રજિસ્ટ્રાર કચેરીમાં અને તા. 1લી જૂનથી રાજયની તમામ 287 સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી શરૂ કરાઇ હતી. એપ્રિલ 2020ના છેલ્લા અઠવાડિયામાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા શરૂ કરાયા બાદ સ્થાનિક પ્રતિબંધો, કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં લાગુ પ્રતિબંધો, મર્યાદિત વાહન વ્યવહાર છૂટ અને કોરોનાના ડરના કારણે શરૂઆતના એપ્રિલ, મે અને જૂન 2020માં નોંધણી થયેલા દસ્તાવેજોની સંખ્યામાં, સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફીની આવક ઓછી રહી હતી. પરંતુ જુલાઇ અને ઓગસ્ટ/2020માં અગાઉના નાણાંકીય વર્ષ 2019/20ના મહિનાની સરખામણીમાં દસ્તાવેજની સંખ્યા, સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફીની આવકમાં નજીવો ઘટાડો રહ્યો હતો. જયારે સપ્ટેમ્બર તથા ઓક્ટોબર 2020માં અગાઉના સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2019ની તુલનાએ દસ્તાવેજની સંખ્યામાં 23 ટકા અને આવકમાં 7.4 ટકાનો વધારો થયો છે. જેથી હાલ મંદીનું વાતાવરણ રાજયમાં જોવા મળતું નથી.

પટેલે કહ્યું કે મહેસુલ વિભાગ દ્વારા નાગરિકોને ઘરે બેઠા સેવાઓ ઉપલબ્ધ કરાવવાના અભિગમને સાકાર કરવા અત્રેના તાબાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધાતા દસ્તાવેજોની ઇન્ડેક્ષ /2 તથા ઇન્કમ્બરન્સ સર્ટીફીકેટ ( બોજા પ્રમાણપત્ર ) નાગરિકો ઘરે બેઠાં મેળવી શકે તેવી સુવિધા આઇઓઆરએ પોર્ટલ ઉપર 9/9/20થી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાના લીધે ઇન્ડેક્ષ 2 અને બોજા પ્રમાણપત્રની 32,248 નકલો છેલ્લાં બે માસમાં ઘરે બેઠાં નાગરિકોને પહોંચાડાઇ છે. જેનાથી રાજય સરકારને 1.42 કરોડની આવક થઇ છે.

રાજયની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વધુ ધસારાને પહોંચી વળવા માટે રાજય સરકારે દસ્તાવેજ નોંધણીના બે સ્લોટ વચ્ચેના સમયમાં ઘટાડો કરીને 10 મીનીટનો સમય કરતાં હવે 25 દસ્તાવેજની જગ્યાએ 35 દસ્તાવેજની નોંધણી પ્રતિદિન થઇ શકે છે. 5મી ઓગસ્ટ 2020થી તમામ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગુજરાત યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે દસ્તાવેજ નોંધણી માટે સાંજે 5થી 7 કલાક સુધીનો વધારાનો સમય પણ ફાળવવામાં આવ્યો છે. જયારે વધારે ધસારો ધરાવતી રાજયની 27 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી માટેનો સમય વધારીને સવારે 10/30થી રાત્રિના 9 વાગ્યા સુધીનો કરાયો છે. તેમ જ રાજય સરકારે આત્મનિર્ભર યોજનાના મોર્ગેજના દસ્તાવેજો માટે સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફીની માફી આપી છે

કોરોનાના કપરા સમયમાં સંક્રમણ વધે નહીં અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી ઓનલાઇન ઇ પેમેન્ટ સીસ્ટમ શરૂ કરાઇ હોવાનું જણાવતાં કૌશિકભાઇ પટેલે કહ્યું કે, 24 એપ્રિલથી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા અંતર્ગત નોંધણી ફી ફરજિયાત ઓનલાઇન ઇ પેમેન્ટથી કરવા તથા ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવાની પણ વ્યવસ્થા શરૂ કરાઇ છે. જયારે સ્ટેમ્પ ડયૂટીની ચૂકવણી ઇ પેમેન્ટ, ઇ સ્ટેમ્પીંગ તથા ફ્રેન્કીંગ દ્વારા કરવામાં આવે છે

(8:42 pm IST)