Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

અમદાવાદનાં શીલજ ખાતે ૨૦ એકર વિશાળ જગ્યામાં “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી”નું નવું મુખ્ય ભવન તૈયાર થશે

આ યુનિવર્સિટીમાં ૧૫ જેટલા ડિગ્રી કોર્સમાં ૬૦૦ બેઠકો ઉપલબ્ધ છે

અમદાવાદ: ઔદ્યોગિક એકમોની વધતી આ માંગને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશથી રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ઓક્ટોબર-૨૦૨૧થી "કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી"ની સ્થાપના કરવામાં આવી છે. જેમા યુવા પેઢીને રોજગારલક્ષી વ્યવસાયિક તાલીમ અને શિક્ષણ પુરુ પાડવામાં આવશે. આ યુનિવર્સિટીમાં ૧૫ જેટલા ડિગ્રી કોર્સમાં ૬૦૦ બેઠકો ઉપલબ્ધ છે અને ૫૭ જેટલા સર્ટિફિકેટ કોર્ષમાં ૨૦ થી ૨૫ હજાર વિદ્યાર્થીઓ તાલીમબદ્ધ થઈ શકે તેવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. એટલુ જ નહિ, શિક્ષણ સાથે સ્કિલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ઓન જોબ ટ્રેનિંગ એપ્રેન્ટિસશિપ, રોજગાર, સ્વ રોજગાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીની તમામ કામગીરી હાલ હંગામી ધોરણે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, મેમનગર, અમદાવાદ ખાતેથી થાય છે. ટૂંક સમયમાં નવું મુખ્ય ભવન અમદાવાદમાં શીલજ ખાતે ૨૦ એકર વિસ્તારમાં તૈયાર કરવામાં આવશે. જ્યાં શૈક્ષણિક સુવિધાઓ સાથે લેબોરેટરી, લાયબ્રેરી, રમત-ગમત મેદાન, વાહન વ્યવહાર જેવી સુવિધાઓ તેમજ હોસ્ટેલ સહિતની તમામ આધુનિક સુવિધાઓ ઊભી કરાશે તેમ કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયુ છે.

(5:59 pm IST)