Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કેન્‍દ્રીય ચૂંટણી પંચ હવે નવો પ્રયોગ કરશેઃ રિમોટ વોટિંગના માધ્‍યમથી દુનિયાના કોઇપણ છેડેથી મતદાન કરી શકાશે

વોટિંગને સુવિધાજનક કેવી રીતે બનાવવી? તે દિશામાં સંશોધન

નવી દિલ્‍હી તા. ૧૧ : કેન્‍દ્રીય ચુંટણી પંચ હવે રિમોર્ટ વોટિંગના માધ્‍યથી દુનિયાના કોઇપણ છેડેથી મતદાન કરવા માટે તૈયારી શરૂ કરી છે.

ચૂંટણી આયોગ એક નવા પ્રયોગના ભાગરૂપે રિમોટ વોટિંગ માટેના પ્રયાસ કરી રહ્યું છે. ચૂંટણી આયોગે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રવાસી મતદાતાઓના મુદ્દાઓની તપાસ માટે એક સમિતિનું ગઠન કરવામાં આવશે. ચૂંટણી પર્યવેક્ષકે જણાવ્યું છે કે, ‘રિપોર્ટ મળ્યા બાદ રાજનીતિક દળો સહિત તમામ હિતધારકો સાથે વ્યાપક સ્તરે ચર્ચા કરવામાં આવશે.’ હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર એક અધિકારીએ નામ ન છાપવાની શરત પર આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘પ્રવાસી શ્રમિકોને થતી સમસ્યાઓને જાણવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવો જોઈએ. વોટિંગને સુવિધાજનક કેવી રીતે બનાવી શકાય તે માટે કયા પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરી શકાય છે, તે અંગે જાણકારી મેળવવાની જરૂરિયાત છે.’

મીડિયા રિપોર્ટસ અનુસાર ચૂંટણી આયોગે સમગ્ર દેશમાં પ્રવાસી મજૂરોની વસ્તી જાણવા માટે મેપિંગ શરૂ કરવાની યોજના બનાવી છે. જેનાથી રિમોટ વોટિંગ શરૂ કરવા માટે એક રોડ મેપ તૈયાર કરી શકાશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારની અધ્યક્ષતા હેઠળ મંગળવારે યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારી અનૂપ ચંદ્ર પાંડે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. રાજીવ કુમાર અને અનૂપ ચંદ્ર પાંડેએ 3 જૂનના રોજ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના દુમક અને કલગોથ ગામના અંતરિયાળ મતદાન વિસ્તારોની મુલાકાત લીધી હતી. લગભગ 18 કિમીનો રસ્તો પાર કર્યા બાદ ચૂંટણી આયોગની આ બેઠક યોજવામાં આવી હતી.

ચૂંટણી આયોગે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે ચર્ચા કરવા દરમિયાન કેટલીક ખાસ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘દુમક અને કલગોઠના ગામડાઓમાં 20થી 25 ટકા મતદાતાઓ મત આપવા માટે અસમર્થ છે. આ મતદાતાઓએ નોકરીના કારણે અથવા શૈક્ષણિક ગતિવિધિઓના કારણે મોટાભાગે ગામની બહાર અથવા રાજ્યની બહાર જવું પડે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં પ્રવાસી મતદાતાઓ માટે રિમોટ વોટિંગની સુવિધા ઊભી કરવી તે એક મહત્વપૂર્ણ પગલું હશે.’

કાર્યસ્થળ પરથી મત આપવા માટે મંજૂરી આપીને ચૂંટણી આયોગ રિમોટ વોટિંગની સંભાવના પર વિચાર કરી રહ્યું છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા 10 મિલિયન પ્રવાસી શ્રમિકની નોંધણી ઈ-શ્રમ પોર્ટલ પર કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિ અનુસાર ડાક મતપત્રની સુવિધા માત્ર સેનાના જવાનો માટે ઉપલબ્ધ છે.

(6:23 pm IST)